સુરેન્દ્રનગર જિલ્લાના દસ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માટે યોજાયેલા ‘‘સેવા સેતુ‘‘ કાર્યક્રમમાં ૧૦૦ ટકા પ્રશ્નોનો હકારાત્મક રીતે નિકાલ કરીને અનેરી સિધ્ધિ પ્રાપ્ત કરી હોવાનું જિલ્લા કલેકટરશ્રી ઉદ્દીત અગ્રવાલે જણાવ્યું છે.
તા.૧/૯/૨૦૧૭ થી તા.૧૫/૯/૨૦૧૭ સુધી જિલ્લાના દસ તાલુકામાં યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ગામના નાગરિકોના આવક, જાતિ, ક્રિમીલેયર, ડોમીસાઈલ પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રેશનકાર્ડને લગતી અરજીઓ, આધાર કાર્ડ અને મા અમૃતમ યોજના અને વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીઓની નોંધણી, રાજ્ય સરકારના કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિભાગની યોજનાઓ હેઠળના વ્યક્તિલક્ષી લાભો માટેની અરજીઓ વગેરેને લગત કુલ ૭૭,૦૦૬ અરજીઓ મળી હતી આ તમામે તમામ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
શ્રી અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, સેવા સેતુ કાર્યક્રમ સૌથી વધુ લીંબડી તાલુકામાં ૧૨,૧૪૫ અરજીઓ મળી હતી જે તમામે તમામ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. જયારે ધ્રાંગધ્રા તાલુકામાં ૧૧,૪૯૭, દસાડા તાલુકામાં ૯,૭૪૨, વઢવાણ તાલુકામાં ૯,૧૨૬, થાનગઢ તાલુકામાં ૭,૪૩૮, લખતર તાલુકામાં ૬,૬૨૯, ચુડા તાલુકામાં ૬,૪૮૪, સાયલા તાલુકામાં ૫૯૮૨, મુળી તાલુકામાં ૨,૦૬૮ અરજીઓ મળી હતી. તે તમામ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે.