ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના જાસપુર ગામે આજે વીર શહીદ મનુભાઇ ધુળાભાઇ સોલંકી, હેડ કોન્સ્ટેબલ, સી.આર.પી.એફ.ના શહીદ સ્મારકની શહીદના વૃદ્ધ માતા – પિતા, ભાઇઓ, સોલંકીવાસના સર્વે જનો અને ગ્રામ્યજનોની ઉપસ્થિતિમાં અનાવરણવિધિ કરવામાં આવી. વીર શહીદ મનુભાઇએ સી.આર.પી.એફ.માં અલગ અલગ રાજ્યોમાં વીસ વર્ષ સુધી સેવા બજાવી હતી. ગત વર્ષે હરિયાણા ખાતે કિસાન આંદોલનમાં સેવા બજાવતાં અચાનક માંદગીમાં પટકાતાં તા. 22/02/2021ના રોજ દિલ્હીના સિગ્નેચર હોસ્પીટલમાં એમણે અંતિમ શ્વાસ લીધાં હતા. સોલંકી સમાજની તેમજ ગ્રામ્યજનોની લાગણીને માન આપી શહીદના વતનમાં શહીદ સ્મારક બનાવવામાં આવેલ.આજે પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ પરિવારજનો,ગ્રામ્યજનો અને સી.આર.પી.એફ. અધિકારીઓની ઉપસ્થિતિમાં આ સ્મારકની અનાવરણ વિધિ કરવામાં આવી.દેશભક્તિની ધૂન વચ્ચે શહીદના છ વર્ષના પુત્ર અને શહીદની ગં.સ્વ.પત્નીના હાથે આ સ્મારકની અનવરણ વિધિ થતાં શહીદની યાદમાં ઉપસ્થિત રહેલ તમામની આંખો ભીંજાઇ ગઈ હતી.
સી.આર.પી.એફ.ના અધિકારીઓ,જાસપુર ગામના સરપંચ શ્રીમતી નીતાબેન ઠાકોર,ભૂતપૂર્વ સરપંચ શ્રી દિનેશભાઇ પ્રજાપતિ, ભૂતપૂર્વ તલાટી એસ.વી. ઠાકોર, રાષ્ટ્રીય બ્રાહ્મણ યુવજન સભા ગુજરાત રાજ્ય પ્રમુખ શ્રી ડૉ. જે.કે. રાવલ, તાલુકા ડેલીગેટ શ્રી રવિ પટેલ, જાસપુર ગ્રામ પંચાયત બૉડીના તમામ સભ્યો અને જાસપુર ગામના તમામ કોમના ગ્રામ્યજનો હાજર રહી શહીદના પરિવારના દુ:ખમાં સહાનુભૂત થયા હતા.