રાજ્ય સરકારના મહેસુલ વિભાગની સુચના અનુસાર ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકો વચ્ચે ગામના ઉપસ્થિત પ્રશ્નોના નિરાકરણ માટે તાત્કાલીક અસરથી પ્રશ્નોનું નિરાકરણ થાય તે માટે જામનગર જિલ્લાના લતીપુર ગામે રાત્રી મુકામ કાર્યક્રમ કલેકટરશ્રી આર.જે.માકડીયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોને સ્પર્શતા પ્રશ્નોનું નિરાકરણ જે તે વિભાગના અધિકારીની હાજરીમાં કલેકટરશ્રીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યુ હતુ. જેમાં જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેતીમાં થયેલ નુકશાન તેમજ મૃત્યુ પામેલ માનવ અને પશુધન માટે વચગાળાની સહાય નુકશાની અંગેની નોંધ વગેરેને વચગાળાની સહાય મળી રહે તે માટે સરકારશ્રીમાં રજુઆત કરી તત્કાલીક સહાય ચૂકવવામાં આવે તેવા પ્રયાસો કરવામાં આવશે તેમ કલેકટરશ્રી માકડીયાએ ઉપસ્થિત ગ્રામજનોને ખાતરી આપી હતી તેમજ જમીનની રી-સર્વેની કામગીરી, સિંચાઇને થયેલ નુકશાન, એસ.ટી. રૂટ અંગે, વિજ કનેકશન, આરોગ્ય સેવા, રોડ રસ્તા, પશુ રસીકરણ, કુપોષિત બાળકો અંગે, માં અન્નપૂર્ણા યોજના, મતદાર યાદી સુધારણા જન ધન યોજના, ૧૪માં નાણાપંચના વિકાસ કાર્યો, પ્રધાનમંત્રી આવાસ યોજના, શૌચાલય, વારસાઇ, વિધવા સહાય પેન્શન તેમજ ગામની સુરક્ષા અંગે વિસ્તૃત વાર્તાલાપ ગ્રામજનો સાથે કરી હતી. આ તકે કલેકટરશ્રીએ ગામમાં વૃક્ષારોપણ અને ગામની સફાઇ અંગે લોકોને જાગૃત થવા જણાવ્યુ તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
કાલાવડના ધારાસભ્યશ્રી મેઘજીભાઇ ચાવડાએ ઉપસ્થિત ગ્રામજનોને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા તેમજ ગામમાં વૃક્ષારોપણ કરવા અનુરોધ કર્યો હતો. ગામના સરપંચ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ડી.આર.ડી.એ. નિયામકશ્રી પાઠક દ્વારા આભારવિધી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મુકેશ પંડ્યા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી બામણીયા, આર.ટી.ઓ. અધિકારીશ્રી જાડેજા, પુરવઠા અધિકારીશ્રી જાડેજા, ગ્રામ્ય ડી.આય.એસ.પી. શ્રી દોશી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.