રાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ભાવનગરના ચાર કોન્સ્ટેબલોને મુખ્યમંત્રી એ રૂ. ૪ લાખની એક્સ- ગ્રેસિયા સહાયની જાહેરાત કરી છે તેની વિગતો રાજ્યના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ મીડિયાને મોડી રાત્રે દિવંગતોના પાર્થિવ શરીરને ભાવનગર લાવ્યાં બાદ કરી હતી.
રાજ્યના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ ચારેય કોન્સ્ટેબલના પાર્થિવ દેહને એર એમ્બ્યુલન્સથી ભાવનગર લાવવા માટેની વ્યવસ્થા કરવા માટે મુખ્યમંત્રીનો આભાર માનતાં જણાવ્યું કે, રાજ્ય સરકાર આ બાબતે સંવેદનશીલ છે અને તાત્કાલિક અસરથી તેમના પાર્થિવ દેહને લાવવાં માટેની જરૂરી કાર્યવાહી કરીને ઝડપથી દિવંગતોના પાર્થિવ દેહને ભાવનગર એર એમ્બ્યુલન્સથી લાવવામાં આવ્યાં હતાં.
માનવતાના ધોરણે રાજ્ય પોલીસ વેલ્ફેર ફંડ અને કેન્દ્ર પોલીસ વેલ્ફેર ફંડમાંથી દરેક પોલીસ કોન્સ્ટેબલને રૂ. ૧૦ લાખની મદદ કરવાની જાહેરાત પણ તેમણે કરી હતી.આ સિવાય કર્મચારી તરીકે મળવાપાત્ર લાભો તરીકે હેડ કોન્સ્ટેબલને વીમા સહિતના અન્ય લાભો સાથે રૂ.૧.૩૫ કરોડ અને કોન્સ્ટેબલોને રૂ. ૫૫ લાખ તેમના પરિવારજનોને આપવામાં આવશે.તેમના આત્માને શાંતિ મળે અને મુશ્કેલીના સમયમાં તેમના પરિવારજનોને હિંમત મળે તેવી પ્રાર્થના કરતાં તેમણે જણાવ્યું કે, મૃતકો પોલીસ પરિવારના સભ્યો છે.મુશ્કેલીના સમયમાં પોલીસ પરિવાર તેમની સાથે છે. તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને ઝડપથી તેમને મળવાપાત્ર લાભો મળી જાય તે માટેની સૂચના જિલ્લા પોલીસ તંત્રને આપી દેવામાં આવી છે.