વડોદરા એનડીઆરએફ દ્વારા ભાવનગરમાં કોરોના મહામારી અંતર્ગત લોકોમાં જાગૃતિ વધે તે માટે જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી જિલ્લા કલેક્ટર કચેરીથી શરૂ થઇ શહેરના ભીડભંજન ચોક, રૂપમ ચોક, મેઇન બજાર, ખારગેટ, દાણાપીઠ, રેલ્વે સ્ટેશન રોડ, શેલારશાહ ચોક, જશોનાથ ચોક, મોતીબાગ સહિતના વિસ્તારોમાં ફરી લોકોને કોરોના અંતર્ગત રાખવાની તકેદારી અંગે જાગૃત કરવાનો પ્રેરક પ્રયાસ કરાયો હતો. રેલીનું જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું તેમજ ઉપસ્થિત સૌ કોઇને કોરોના અંતર્ગત રાખવાની તકેદારી અંગેના શપથ લેવડાવ્યા હતા. લોકો વારંવાર હાથ ધોવે, સેનિટાઇઝરનો ઉપયોગ કરે તથા માસ્ક પહેરે તેમજ સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવે, સંપુર્ણ શરીર ઢંકાયેલું રહે તેવા વસ્ત્રો પહેરે, હાથને સાફ કર્યા સિવાય મોં પર ન અડે, છીંક અથવા ખાંસી આવે તો હાથના બદલે કોણી અથવા રૂમાલ કે ટીસ્યુ પેપરનો ઉપયોગ કરે તેવા પોસ્ટર્સ, બેનર તેમજ સ્લોગનો થકી રેલી દરમ્યાન લોકોને જાગૃત કરવાનો પ્રયાસ હાથ ધરાયો હતો.
આ તકે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના પ્રયાસોથી ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યુ છે. ખાસ કરીને ભાવનગર જિલ્લામાં છેલ્લાં એક મહિનાથી કોરોનાના કેસોમાં નોંધપાત્ર ધટાડો જોવા મળી રહ્યો છે. અનલોક થતા હવે આપણે પુર્વવત સ્થિતિમાં છીએ ત્યારે આવા સમયને લોકો હળવાશથી લે અથવા તો નિષ્કાળજી દાખવે તેવું બની શકે છે. આથી કોરોના આપણી વચ્ચે જ છે તે હજુ ગયો નથી જે બાબત ધ્યાને લઇ લોકો સેનિટાઇઝરનો ઉપયોગ કરે, માસ્ક પહેરે તેમજ સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવે તે ખૂબજ જરૂરી છે.
(તસવીર / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)
પાછલી પોસ્ટ