સુરેશ ત્રિવેદી, ભાવનગર
પૂજ્ય મોરારીબાપુ નૈમિષારણ્ય તીર્થ (ઉત્તરપ્રદેશ) માં ચાલતી રામ કથાની પૂર્ણાહુતિ બાદ ભાવનગર એરપોર્ટ પર પધાર્યા હતા. ત્યાંથી સિધા શ્રી ગોળીબાર હનુમાનજી મંદિર ખાતે શ્રી મદનમોહનદાસજી બાપા તથા શ્રી હનુમાનજી દાદાના દર્શન કરવા ગયેલ.
પરમ પૂજ્ય સંત શ્રી મદનમોહનદાસજી બાપા ઉપર અપાર સ્નેહ તથા પૂજ્યભાવ હોવાથી પૂજ્ય બાપુએ પૂજ્ય બાપાની તબિયતના ખબર અંતર પૂછેલ. સંત શ્રી મદનમોહનદાસજી બાપાએ સહજ અને સરળ સ્નેહથી પૂજ્ય બાપુનું હાર, શાલ, ચંદનનું તિલક અને આરતી કરી સ્વાગત કર્યું હતું. પૂજ્ય મદનમોહનદાસ બાપાના શિષ્યા આદરણીય કલ્યાણી બેન તેમજ શિષ્ય સરજુદાસજી એ પૂજ્ય બાપાની આજ્ઞા પ્રમાણે બધી વ્યવસ્થા કરી હતી. જેમાં પૂજ્ય મદનમોહન દાસજી બાપા પૂજ્ય મોરારીબાપુ બંને સંતો નો એકબીજા પ્રત્યેનો સ્નેહ મૌનમાં પણ સ્પષ્ટપણે છલકાતો હતો. આ પ્રસંગે પૂજ્ય સંત શ્રી મદન મોહનદાસજી બાપા એ કોરોનાની ગાઈડલાઇન્સ પૂરી થયા બાદ નિમિત્ત માત્ર શ્રી બુધાભાઈ પટેલ ના યજમાન પદે ભાવનગર ખાતે જવાહર મેદાનમાં પૂજ્ય બાપુના વ્યાસાસને ભવ્ય રામકથાનું આયોજન થાય તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે બુધાભાઈ પટેલ , દેવીબેન તેમજ દિલીપભાઈ અને ધાર્મિક ભાઈ ની પુત્રી કામાક્ષીએ બંને સંતોના આશીર્વાદ મેળવ્યા હતા.