કોરોના મહામારી વચ્ચે થઈ રહેલી પશ્ચિમ બંગાળની ચૂંટણીને લઈ અનેક પ્રકારના સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી બાદ હવે ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ પણ આગળ ચૂંટણી પ્રચાર ન કરવાનો નિર્ણય લીધો છે. ટીએમસીના સાંસદ ડેરેક ઓ બ્રાયને ટ્વીટ કરીને મમતા બેનર્જી હવે કોલકાતામાં ચૂંટણી પ્રચાર નહીં કરે તેવી માહિતી આપી હતી.ડેરેક ઓ બ્રાયને જણાવ્યું કે, મમતા બેનર્જી હવે બંગાળની ચૂંટણીને લઈ કોલકાતામાં પ્રચાર નહીં કરે. તેઓ પ્રતીકાત્મક રીતે ૨૬ એપ્રિલના રોજ શહેરમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે માત્ર એક મીટિંગ જ કરશે. બાકીના તમામ જિલ્લામાં તેમણે ચૂંટણી રેલીઓનો સમય ઘટાડી દીધો છે, જે હવે માત્ર ૩૦ મિનિટનો રહેશે.
અગાઉ મમતા બેનર્જીએ કહ્યું હતું કે, તેઓ બાકીની તમામ ફેઝની ચૂંટણી એકસાથે થઈ જાય તેમ ઈચ્છતા હતા પરંતુ ચૂંટણી પંચે તેમ ન કર્યું કારણ કે, ભાજપ ઈચ્છે છે કે, વધુ ફેઝમાં ચૂંટણી થાય જેથી તે પ્રચાર કરી શકે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ રવિવારની ટ્વીટમાં લખ્યું હતું કે, કોરોના સંક્રમણના કારણે તેઓ પોતાની બંગાળની તમામ રેલીઓ રદ્દ કરે છે. રાહુલ ગાંધીએ બંગાળમાં હજુ ૨ રેલી જ કરી છે. તેમણે ૧૪ એપ્રિલના રોજ ઉત્તર દિનાજપુર અને દાર્જિલિંગ જિલ્લામાં રેલીઓ કરી હતી.રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું હતું કે, ’કોવિડ સંકટને ધ્યાનમાં રાખીને મેં પશ્ચિમ બંગાળની મારી તમામ રેલીઓ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. રાજકીય દળોએ વિચારવું જોઈએ કે, આવા સમયમાં આ રેલીઓથી જનતા અને દેશને કેટલું જોખમ છે.જો કે, રાહુલ ગાંધીની ટ્વીટ બાદ બંગાળના ભાજપા નેતા શિશિર બાજોરિયાએ કટાક્ષના સૂરે શું કોંગ્રેસ પિક્ચરમાં પણ હતી તેવો સવાલ કર્યો હતો.
આગળની પોસ્ટ