મ્યાંમારના સુરક્ષા દળોએ સૈન્ય તખ્તાપલટના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા લોકો પર ફરી એક વખત મોટી કાર્યવાહી કરી હતી. જાણવા મળ્યા મુજબ આ કાર્યવાહીમાં ૮૦થી વધારે પ્રદર્શનકારીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓને વિખેરવા માટે રાઈફલ ગ્રેનેડનો ઉપયોગ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં ૮૨ લોકો માર્યા ગયા હતા. જાે કે, સૈન્ય શાસનના પ્રવક્તાએ નેપીતા ખાતે સુરક્ષા દળોની કાર્યવાહીનો બચાવ કર્યો હતો.
જાણવા મળ્યા મુજબ યંગૂનથી આશરે ૧૦૦ કિમી દૂર પૂર્વોત્તરમાં આવેલા બાગો ખાતે સરકારી સુરક્ષા દળો અને પોલીસે આ કાર્યવાહી કરી હતી. મ્યાંમારના એક ન્યૂઝ પોર્ટલે કરેલા દાવા પ્રમાણે સુરક્ષા દળોએ ગુરૂવારની રાતે અને શુક્રવારે બાગો ખાતે ૮૦થી વધારે પ્રદર્શનકારીઓની હત્યા કરી હતી.
સુરક્ષા દળોએ સપ્તાહમાં ત્રીજી વખત પ્રદર્શનકારીઓ પર ઘાતક બળ પ્રયોગ કર્યો છે. પ્રદર્શનકારીઓ સૈન્ય તખ્તાપલટના વિરોધની સાથે લોકશાહીના સમર્થક નેતા આંગ સાન સૂકીને મુક્ત કરવા માંગણી કરી રહ્યા હતા.
મ્યાંમારમાં પહેલી ફેબ્રુઆરી બાદ સૈન્ય શાસનનો વિરોધ કરી રહેલા લોકો પર સુરક્ષા દળો સતત કાર્યવાહી કરતા આવ્યા છે. પ્રદર્શનકારીઓ પરની સૈન્ય કાર્યવાહીમાં અત્યાર સુધીમાં ૬૧૪ લોકો માર્યા ગયા છે.