કોરોના મહામારીનું રૌદ્ર સ્વરૂપ દેશમાં કહેર મચાવી રહ્યું છે. દરરોજ નવો દિવસ પસાર થતાં કેસની સંખ્યામાં ધરખમ વધારો થઇ રહ્યો છે. છેલ્લાં ૨૪ કલાકમાં એક વખત ફરી કોરોનાના નવા કેસોએ છેલ્લાં તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લાં ૨૪ કલાકમાં ૧,૫૨,૮૭૯ નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. જે કોરોના મહામારીની શરૂઆતથી લઇ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. દેશમાં સંક્રમિત થઇ ચૂકેલા લોકોની સંખ્યાની વાત કરીએ તો હવે આ આંકડો હવે ૧,૩૩,૫૮,૮૦૫ પહોંચી ચૂકયો છે.
વીતેલા સપ્તાહની વાત કરીએ તો સોમવારથી અત્યાર સુધીમાં અંદાજે ૬ લાખ નવા કેસ નોંધાઇ ચૂકયા છે. સતત વધતા આંકડાની સાથે જ દેશમાં કુલ કેસની સંખ્યા ૧.૩૩ કરોડના પાર થઇ ગઇ છે. ચિંતાની વાત એક્ટિવ કેસની સંખ્યામાં વધારો છે. હવે એક્ટિવ કેસનો આંકડો ૧૧ લાખને પાર થઇ ગયો છે. જ્યારે થોડાંક સમય પહેલાં દેશમાં માત્ર એક લાખની નજીક જ એક્ટિવ કેસ હતા.
તો મહારાષ્ટ્ર પણ દેશના કોરોના ટેલીમાં શરૂઆતથી ટોપ પર બનેલું છે. ત્યાં છેલ્લાં લગભગ દસ દિવસમાં દરરોજ ૫૦૦૦૦થી વધુ નવા કોરોના કેસ સામે આવી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં કોરોના મહામારીએ તાંડવ મચાવ્યું છે. શનિવારે વીકેન્ડ લૉકડાઉનનો પ્રથમ દિવસ હતો પરંતુ હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સંપૂર્ણ લૉકડાઉના વિકલ્પ પર વિચાર કરી રહ્યાં છે. પરંતુ આ ર્નિણય એટલો સરળ નથી. પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ સંપૂર્ણ લૉકડાઉન જેવા ર્નિણય વિરુદ્ધ સરકારને ચેતવી રહ્યા છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ પર ચર્ચા માટે બોલાવવામાં આવેલી સર્વદળીય બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, અહીં કુવો ત્યાં ખાઈ જેવી સ્થિતિ છે. પરંતુ આકરા ર્નિણય કરવા પડશે. થોડી તકલીફ ભોગવવી પડશે. તેમણે કહ્યું કે, છૂટ અને આકરા નિયમો એક સાથે મુશ્કેલ છે. ૨ દિવસમાં જાહેરાત કરવામાં આવશે. રવિવારે રાજ્યમાં કોવિડ ટાસ્ક ફોર્સની આપાતકાલિન બેઠક બોલાવવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૫૪૧૧ નવા કેસ સામે આવ્યા છે, ૫૩૦૦૫ દર્દીઓ સાજા થયા છે અને ૩૦૯ મૃત્યુ થયા છે. પ્રદેશમાં કુલ કેસની સંખ્યા ૩૩,૪૩,૯૫૧ થઈ ગઈ છે. અત્યાર સુધી ૨૭,૪૮,૧૫૩ લોકો સાજા થયા છે. કોરોનાને કારણે રાજ્યમાં અત્યાર સુધી ૫૭,૬૩૮ લોકોના મૃત્યુ થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ૫,૩૬,૬૮૨ છે.
ગુજરાતમાં પણ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકડા પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. ગુજરાતમાં શનિવારે રેકોર્ડબ્રેક ૫૦૧૧ કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં ૫૦૧૧ નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર ૨૫૨૫ લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૩,૧૨,૧૫૧ દર્દીઓએ કોરોનાને માત આપી છે. જાે કે રાજ્યનો રિકવરી રેટ ૯૧.૨૭ ટકાએ પહોંચ્યો છે. એક જ દિવસમાં કોરોનાથી રાજ્યમાં ૪૯ લોકોના મોત નિપજ્યા છે.