એનસીપી ચીફ શરદ પવારે રવિવારે જણાવ્યું હતું કે આસામને બાદ કરતા ભાજપ અન્ય ચાર રાજ્યોમાં હારશે અને આ ચૂંટણીના પરિણામો દેશને એક નવી દિશા આપશે. તેમણે પશ્રિ્ચમ બંગાળમાં સત્તાનો દુરુપયોગ કરવા બદલ ભાજપની ટીકા પણ કરી હતી. આસામ ઉપરાંત પશ્રિ્ચમ બંગાળ, કેરળ, તમીલનાડુ અને પુડ્ડુચેરીમાં માર્ચ-એપ્રિલ મહિનામાં ચૂંટણી છે અને તમામનું પરિણામ બીજી મેના રોજ જાહેર થશે. પવારે એમ પણ કહ્યું કે આ ચૂંટણીના પરિણામો વિશે અત્યારથી કહેવું ઘણું અઘરું છે, પરંતુ કેરળમાં ડાબેરી પક્ષો અને એનસીપી સ્પષ્ટ બહુમતિથી જીતી જશે. તમીલનાડુમાં ડીએમકે જીતશે. પશ્રિ્ચમ બંગાળમાં તૃણમુલ કૉંગ્રેસ (ટીએમસી) જીતશે અને કારણ કે બંગાળના ગર્વ અને સન્માનનો સવાલ છે. આસામમાં ભાજપ અન્ય પક્ષો કરતા સારી સ્થિતિમાં છે, તેમ પણ પવારે જણાવ્યું હતું. આમ કુલ પાંચમાંથી માત્ર એક રાજ્યમાં જ ભાજપને સત્તા મળશે, બાકી અન્ય રાજ્યોમાં તેણે હારનો સામનો કરવો પડશે અને દેશને આ ચૂંટણી બાદ અલગ દિશા મળશે. પોલીસ અધિકારી સચિન વાઝેની એનઆઈએ દ્વારા કરવામાં આવેલી ધરપકડને તમણે સ્થાનિક મુદ્દો ગણાવ્યો હતો અને આ મામલે નિવેદન આપવાનું ટાળ્યું હતું.
વિધાન પરિષદના બાર સભ્યના નામ પર રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી મહોર નથી મારી રહ્યા ત્યારે પવારે કટાક્ષમાં કહ્યું હતું કે કોઈ રાજ્યપાલે બંધારણે આપેલી જવાબદારી ન નિભાવી હોય તેવું ઈતિહાસમાં ક્યાંય બન્યુ નથી, પરંતુ રાજ્યપાલે આ ચમત્કાર કરી બતાવ્યો છે અને તે દુઃખદ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે રાજ્યપાલના હસ્તક્ષેપ વિશે તેમણે ફરિયાદ કરી હતી, પરંતુ હવે મહારાષ્ટ્રના મુદ્દે તેઓ મૂક સાક્ષી બની ગયા છે, જે ચિંતાજનક છે.