વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ તા. ૨૯મીએ રાજકોટમાં રોડ-શો, નર્મદા નીર લોકાર્પણ અને દિવ્યાંગોને સહાય અર્પણના સફળ કાર્યક્રમો કર્યા બાદ વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી એક વખત રાજકોટ શહેર અથવા નજીકના વિસ્તારમાં આવી રહ્યાનું ભાજપનું વર્તુળો જણાવે છે.કુવાડવા-ચોટીલા વચ્ચે હીરાસર પાસે નવા એરપોર્ટ નિર્માણની વહીવટી પ્રક્રિયા ચાલી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવતી અમુક ખાનગી જમીન સંપાદન કરવા માટે જીઆઈડીસીને કામગીરી સોંપાયેલ છે. ટૂંક સમયમાં આ કામગીરી પૂર્ણ થવાની ધારણા છે. એરપોર્ટનું ખાતમુહુર્ત વડાપ્રધાનના હસ્તે કરાવવાની ભાજપના અગ્રણીઓની ઈચ્છા છે. ઉપરાંત રાજકોટ-અમદાવાદ રોડ ૬ માર્ગીય કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી સૈદ્ધાંતિક મંજુરી મળી ગઈ છે. રાજ્ય કક્ષાએ તેની ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. આ કામનું ખાતમુહુર્ત પણ મોદીના હસ્તે થાય તેવી શકયતા છે.ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં મોદી ગુજરાતની મુલાકાતે આવતા હોય તે વખતે રાજકોટને લાગુ પડતા મોટા વિકાસ કામોના નિર્માણનો પ્રારંભ તેમના હસ્તે કરવા માટેની તૈયારી થઈ રહી છે. સંભવત ઓકટોબરમાં ધારાસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ પડે તે પૂર્વે વિકાસ કામોના પ્રારંભ સાથે સૌરાષ્ટ્રમા રાજકીય ફાયદો થાય તે રીતે વડાપ્રધાનની સભા સહિતના કાર્યક્રમો ગોઠવવાની પ્રબળ શકયતા છે, ત્યાં સુધીમાં રાજકોટને એઈમ્સ આપવાનું જાહેર થઈ જાય તો તેનુ ખાતમુહુર્ત પણ તેમના હસ્તે થવાની સંભાવના નકારાતી નથી.