આવતા અઠવાડિયે ગુરૂપૂર્ણિમા પછી અયોધ્યામાં રામજન્મભૂમિના સ્થળે મંદિર બાંધવાની દિશામાં પ્રયત્નો વેગવાન બનાવવામાં આવશે. ગુરૂપૂર્ણિમા નિમિત્તે ઉત્તર પ્રદેશના સીતાપુર ગામના નારદાનંદ આશ્રમમાં રામમંદિરના બાંધકામની ચર્ચા માટે સાધુ-સંતો એકઠા થશે અને ત્યાર પછી એ દિશામાં કાર્યવાહી વેગવાન બનાવવાની શકયતા છે. સીતાપુરના નારદાનંદ આશ્રમના મહંત પ૮ વર્ષના સ્વામી વિદ્યા ચૈતન્ય મહારાજે જણાવ્યું હતું કે, અયોધ્યામાં ભવ્ય રામમંદિર બાંધવા વિશે વિગતવાર ચર્ચા કરવા માટે ઉત્તર પ્રદેશના જુદા જુદા અખાડાના સાધુ-સંતો અમારા આશ્રમમાં એકઠા થશે. ૯ જુલાઇએ ગુરૂપૂર્ણિમાના અવસરે રામમંદિર બાંધવા માટે સાધુ-સંતો ઉપરાંત સામાન્ય જનતાનું સમર્થન મેળવવાનું અભિયાન શરૂ કરવામાં આવશે. ર૭ જૂને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથેની મીટીંગનો ઉલ્લેખ કરતા સ્વામી વિદ્યા ચૈતન્ય મહારાજે જણાવ્યું હતું કે, ભવ્ય રામમંદિરનું બાંધકામ ર૦૧૯ પહેલા શરૂ કરવાનો મને આત્મવિશ્વાસ છે. નારદાનંદ આશ્રમમાં ગુરૂપૂર્ણિમાનો કાર્યક્રમ પૂરો થયા પછી હું રામમંદિરના બાંધકામ માટે લોકસમર્થન પ્રાપ્ત કરવા માટે વિશેષ રથમાં ઉત્તર પ્રદેશ ઉપરાંત રાજસ્થાન, બિહાર, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડના પ્રવાસે નીકળીશ.
આગળની પોસ્ટ