ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા કુલ ૧૩ અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર ઉપરાંત શહેરના દુઃખીશ્યામબાપ સર્કલ, વેલેન્ટાઈન સર્કલ વાઘાવાડી રોડ, મહિલા કોલેજ સર્કલ, પાણીની ટાંકી કાળીયાબીડ, મંત્રેશ કોમ્પ્લેક્ષ સુભાષનાગર તથા આર.ટી.ઓ.સર્કલ ખાતે તથા ગ્રામ્ય મામલતદાર કચેરી તથા સીટી મામલતદાર કચેરી, ભાવનગર ખાતે એમ કુલ ૨૧ સ્થળોએ સ્વૈચ્છિક કોરોના સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. આ અંગે આરોગ્ય અધિકારી ડો.સિંહાએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમણને શહેરમાં ફેલાતુ અટકાવવા વધુમાં વધુ લોકો કોરોનાની તપાસ કરાવે તે ખૂબ જરૂરી છે. હાલ વિશ્વ કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીના કપરા સમયમાંથી પસાર થઇ રહેલ છે ત્યારે આ પરિસ્થિતિમાં લોકો કોઈપણ જાતના ડર વિના સ્વૈચ્છિક રીતે વિનામૂલ્યે નિદાન કરાવી શકે તે માટે મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા સ્વેચ્છિક કોરોના ટેસ્ટિંગ સેન્ટર સવારના ૯ઃ૦૦ થી બપોરના ૧૨ઃ૦૦ તેમજ સાંજના ૪ઃ૦૦ થી ૭ઃ૦૦ કલાક દરમ્યાન શરૂ કરવામાં આવેલ છે. લોકો સ્વૈચ્છિક રીતે સદર સેન્ટરો ખાતે આવી કોરોના રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવી શકે છે જેનું રિઝલ્ટ ૫ થી ૧૦ મિનિટમાં મળતું હોય વ્યક્તિ જો કોરોના વાયરસથી સંક્રમિત હોય તો હોમ આઇસોલેશનમા રહીને તેના નજીકના કુટુંબના, અન્ય સહકર્મી લોકોને સંક્રમિત થતા અટકી શકે છે.“લોકો બહોળા પ્રમાણમાં લાભ લઇ શકે તે હેતુથી હાલ લોકોની અવરજવર વધુ થતી હોય તેવા વિસ્તારોમાં સ્વૈચ્છિક કોરોના ટેસ્ટિંગ સેન્ટરો શરૂ કરવામાં આવેલ છે.
(અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)