ભાવનગર શહેરના ક્રેસન્ટ સર્કલમાં આવેલ ઐતિહાસિક ૬૫ વર્ષ જૂની ભાવનગરની ધરોહરનું વર્ષ૧૯૫૫માં તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં ગાંધી મૂલ્યોને જીવંત રાખનાર ગાંધી સ્મૃતિની ભારે દુર્દશા થઇ છે. આ ઐતિહાસિક બિલ્ડીંગની કોઈ જાળવણી રાખવામાં આવી નથી. આ ઇમારતના શિખર ઉપર અને અનેક સ્થળોએ ગાબડા પડી ગયા છે, કાટમાળ દેખાય છે, પીપળા ઉગી ગયા છે, ચારે બાજુ કચરો પડ્યો છે, સાફ સફાઇ થતી નથી , ગાંધીજીના સ્વચ્છતાના મૂલ્યોનો અહીં છેદ ઉડાડવામાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. પાન માવા મસાલાના પડીકા અને છેલ્લાં ઘણાં મહિનાથી મ્યુઝિયમ પણ બંધ છે. એક જમાનામાં આ ગાંધી સ્મૃતિ જોવા લોકો લાઈન લગાવતા હતા. આ ગાંધી સ્મૃતિના તમામ વિભાગ જોતા બે થી ત્રણ કલાકનો સમય લાગતો હતો. ભાવનગરમાં બહારના લોકો આવતા તે ગાંધી સ્મૃતિ જોવા અચૂક જતાં એ જ ગાંધી મુલ્યોની ગાંધી સ્મૃતિ બિલ્ડીંગ છે જે ભાવનગરને ચાર ચાંદ લગાવતી હતી પણ ટ્રસ્ટ ઉપર કરોડોનું દેવું થતા આ ઐતિહાસિક બિલ્ડિંગનો અમુક ભાગ ભાડે આપી દેવાયો છે. આ બિલ્ડિંગ ઉપર દેવું વધતાં સીલ પણ મારવામાં આવ્યું હતું. હજી પણ આ બિલ્ડિંગનો અમુક હિસ્સો દઇ દેવાની તૈયારીઓ થતી હોવાનું પણ જાણવા મળે છે. ભાવનગરના રહેવાસીઓ ઈચ્છા છે કે ગાંધી મૂલ્યોની આ ઐતિહાસિક ધરોહર સરકાર પોતાના હસ્તક કરે અને મોટા મ્યુઝિયમમાં ફેરવે. આ ગાંધી સ્મૃતિમાં જે લોકોને ભાડે આપેલ હોય તેને દૂર કરી ગાંધી સ્મૃતિ બિલ્ડિંગને હેરિટેજનો હોદ્દો આપે તેમ લોકોની લાગણી અને માંગણી છે.
(તસવીર / વિડિયો / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)