કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, રાહુલ ગાંધી હવે તેમના પણ બોસ છે. પાર્ટીની સંસદીય બોર્ડની બેઠકમાં સોનિયા ગાંધીએ પોતાની ભૂમિકાને લઇને તમામ શંકાઓ અને અફવાઓ ઉપર પૂર્ણવિરામ લગાવવાના પ્રયાસ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, અમારી પાસે આવેલા નવા કોંગ્રેસ અધ્યક્ષ છે. અમે તમામ તેમને શુભકામના આપીએ છીએ. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી હવે તેમના પણ લીડર છે. આ સંદર્ભમાં કોઇને પણ શંકા રાખવી જોઇએ નહીં. રાહુલ ગાંધીને કોંગ્રેસ પાર્ટીની જવાબદારી સોંપી દીધા બાદ સોનિયા ગાંધીએ રાજકીય નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. રાજનીતિમાંથી નિવૃત્તિ લેવાની વાતને લઇને હોબાળો પણ થયો હતો. જો કે, કોંગ્રેસ પાર્ટી તરફથી કહેવામાં આવ્યું હતું કે, સોનિયા ગાંધી માત્ર અધ્યક્ષ પદેથી નિવૃત્ત થયા છે.
રાજનીતિમાંથી નિવૃત્ત થયા નથી. સંસદીય બોર્ડની બેઠક દરમિયાન સોનિયા ગાંધીએ મોદી સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કેન્દ્રની સરકાર મહત્તમ પબ્લિસીટી, ન્યૂનતમ સરકાર, અધિકતમ માર્કેટિંગ, ન્યૂનતમ ડિલિવરી ઉપર કામ કરી રહી છે. સોનિયા ગાંધીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, તમામ લોકશાહી સંસ્થાઓ ઉપર જાણી જોઇને ટાર્ગેટ બનાવીને આક્ષેપો થઇ રહ્યા છે. સરકાર રાજકીય હરીફોને ટાર્ગેટ કરવા માટે તપાસ સંસ્થાઓનો ઉપયોગ કરી રહી છે. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, આ સરકારને સત્તામાં આવ્યાને ચાર વર્ષ થઇ ચુક્યા છે. આ ગાળા દરમિયાન સાંસદ, ન્યાયપાલિકા, મિડિયા અને સિવિલ સોસાયટી સહિત લોકશાહી સંસ્થાઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે, દલિતો અને લઘુમતિઓની સામે હિંસાની છુટી છવાઈ ઘટનાઓ થઇ રહી નથી બલ્કે રાજકીય લાભ લેવા માટે સમાજમાં ધ્રુવીકરણના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી અને રાજસ્થાનમાં પેટાચૂંટણીમાં કોંગ્રેસને મળેલી સફળતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. કોંગ્રેસમાં હવે ધરખમ ફેરફાર થઇ રહ્યા છે.
આગળની પોસ્ટ