પંચમહાલ જીલ્લાના ગોધરા સેવાસદન ખાતે પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતિના અનુસુચિત જાતિ ડિપાર્ટમેન્ટ દ્વારા યુપીના હાથરસ ગામે બનેલા યુવતી ઉપરના અત્યાચારના બનાવ તેમજ કચ્છ જીલ્લાના રાપર ગામે વકીલ દેવજીભાઈ મહેશ્વરીની કરપીણ હત્યાના મામલે આજે જીલ્લા કલેકટરને આવેદનપત્ર સોંપવામા આવ્યું છે. આવેદનપત્ર સોંપવામાં કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આવેદનપત્રમાં જણાવાયું છે કે, ઉત્તરપ્રદેશના હાથરસ ગામમાં યુવતીનું અપહરણ કરીને ગેંગરેપ કરીને કમરના મણકા તોડીને જાનથી મારી નાંખી છે. આ ઘટનાને લઈને તાત્કાલિક એફઆઈઆર નહીં કરી પોલીસ કર્મચારીઓ દ્વારા મિડિયામાં ખોટા નિવેદનો આપીને પિડિતાના મૃત્યુ બાદ રાત્રે બે વાગ્યે પોલીસ પ્રશાસન બાદ અંતિમસંસ્કાર ગેરકાયદેસર રીતે કરીને પોલીસ કર્મચારીઓ દ્વારા પુરાવા સાથે ચેડા કરીને પુરાવાનો નાશ કર્યો છે. આ ગેરકાયદેસર કૃત્ય બદલ તમામ પોલીસ કર્મચારીઓને ગુન્હામાં મદદગાર તરીકે આરોપી બનાવવા રજુઆત છે. ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા નેસ્તનાબુદ થઈ ગયેલી છે. સરકારનું કોઈ જ નિયંત્રણ નથી. વધુમાં જણાવાયું છે કે, કે કચ્છના રાપરના બામસેફના નેતા અને જાણીતા વકીલ દેવજીભાઈ મહેશ્વરીની દિનદહાડે ઓફિસની બહાર હત્યા કરવામાં આવી છે જે નિંદનીય બાબત છે. આખા દેશમાં અનુસુચિત જાતિ ઉપર ગંભીર ગુન્હા બની રહ્યા છે તેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છે. ભવિષ્યમાં આવા પ્રકારના ગુન્હાઓ ના બને તેની જવાબદારી સરકારની રહે છે. જો તેની ઉપર સરકાર નિયંત્રણ નહીં લાવે તો ના છુટકે અમારે રોડ ઉપર ઉતરવું પડશે. આ બંને બનાવોનાં કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટ અથવા સ્પેશિયલ કોર્ટ નીમીને ઝડપથી નિકાલ કરીને તમામ આરોપીઓને ફાંસીની સજા આપવી જોઈએ તેવી માંગ આવેદનપત્રમાં કરવામાં આવી હતી. આવેદન પત્ર આપવા પંચમહાલ કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભટ્ટી, જિલ્લા એસસી ડિપાર્ટમેન્ટના ચેરમેન વકીલ રાજેશ હડીયલ, પંચમહાલ મહિલા કોંગ્રેસના પ્રમુખ પ્રિયંકા પરમાર, પ્રદેશ કોંગ્રેસ મંત્રી રફીક તિજોરીવાલા, માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ઉસ્માન બેલી, સોશિયલ મીડિયા જિલ્લા કો.ઓર્ડિનેટર સાજીદ વલી,એડવોકેટ આબીદ શેખ,જય ગણેશભાઈ, નરસિંહભાઈ, અયુબ ચરખા, નસરીન બહેન, જયશ્રી પરમાર, નીરૂપા ભરવાડ,ધ્વનિ પુરાણી, મીનાબેન સહિત મોટી સંખ્યામાં કોંગ્રસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં અને આવેદનપત્ર સોંપ્યું હતું.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)
પાછલી પોસ્ટ