જૂનાગઢના માંગરોળના પોરબંદર રોડ પર આવેલા કલ્યાણધામ નજીક આજે રવિવારે વહેલી સવારે ફૂલ સ્પીડમાં કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલ્ટી મારી ગામના બસસ્ટેન્ડમાં ઘૂસી ગઇ હતી. કારમાં સવાર ચાર યુવાનો નીખીલ વાળા, વીકી પીઠવા, મોહિત રાજા કોડીયાતર અને દેવા દિનેશભાઇ કરમટાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને યુવકોના ગામવાળા પંથકોમાં તો, જાણે શોકનો માતમ છવાઇ ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં આઘાતની વાત તો એ હતી કે, ચાર મૃતક યુવકો પૈકીના એક યુવકની બહેનના આજે લગ્ન હતા અને તે યુવક પણ આ અકસ્માતમાં મોતને ભેટતા તેની બહેનના લગ્નનો ખુશીનો પ્રસંગ શોકમાં જાણે ફેરવાયો હતો. બનાવને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. કાર એટલી જોરદાર રીતે બસ સ્ટેન્ડમાં ઘૂસીને અથડાઇ હતી કે આખી કાર જાણે પડીકું વળી ગઇ હતી અને જેસીબીની મદદથી કારને બસ સ્ટેન્ડમાંથી બહાર કાઢવાની ફરજ પડી હતી. કારમાંથી માંડ માંડ યુવકોની લાશને બહાર કાઢી શકાઇ હતી. તમામ મૃતક યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ થતાં તે પણ સ્ટાફના કાફલા સાથે ત્યાં દોડી આવી હતી અને જરૂરી તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં ચાર પૈકીના બે યુવકો લુહાર પરિવારના હતા, જયારે બે યુવાનો માંગરોળના શકિતનગરગમાં રહેતા રબારી પરિવારના હતા. જે બે યુવાનો લુહાર પરિવારના હતા અને આ અકસ્માતમાં મોતને ભેટયા તેમાંથી એક યુવકની બહેનના આજે લગ્ન હતા. લગ્નના દિવસે જ ભાઇના મોતથી લુહાર પરિવારમાં શોકનો માતમ છવાયો હતો અને લગ્નનો ખુશીનો પ્રસંગ શોકમાં પરિણમ્યો હતો. એકસાથે ચાર યુવકોના મોતના બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી.