પહેલાથી જ નાણાંભીડનો સામનો કરી રહેલી ખાનગી એરલાઇન્સ કંપની સ્પાઇસ જેટ સામે હવે મોટું નાણાંકીય સંકટ સર્જાયુ છે. આજે દિલ્હી હાઇકોર્ટે સ્પાઇસ જેટને તેના પૂર્વ-પ્રમોટર્સ અને સનગ્રૂપના માલિક કલાનિધિ મારનને શેર-ટ્રાન્સફર વિવાદના કેસમાં રૂ. ૨૪૩ કરોડની ચૂકવવા નિર્દેશ આપ્યો છે. સ્પાઇસ જેટને આ રકમ ચૂકવવા માટે છ સપ્તાહની મુદ્દત આપી છે.
જો નિર્ધારિત સમયગાળામાં આ રકમ જમા કરવામાં નિષ્ફળ જાય તો કલાનિધિ મરાનને સ્પાઇસ જેટ પર પોતાનું શેરહોલ્ડિંગ જાળવી રાખવાનો અધિકાર છે, એટલે કે કંપની તાજા શેર અથવા હિસ્સેદારીના વેચાણ દ્વારા બજારમાંથી નવી મૂડી એકત્રિત કરી શકશે નહીં.
આ રકમ રૂ.૫૭૯ કરોડની ઉપરના ચૂકવવાપાત્ર વ્યાજ છે, જેને વર્ષ ૨૦૧૭માં કોર્ટે શેર ટ્રાન્સફરના વિવાદના ભાગરૂપે સ્પાઇસ જેટને જમા કરવાનો નિર્દેશ આપ્યો હતો. સ્પાઇસ જેટે આ સમગ્ર રકમ ૩૨૯ કરોડ રૂપિયાની બેંક ગેરંટી અને ૨૫૦ કરોડ રૂપિયાની ડિપોઝિટ દ્વારા જમા કરાવી હતી. હાઇકોર્ટના આદેશ બાદ સ્પાઇસ જેટનો શેર સવા ત્રણ ટકા ઘટ્યો છે.
કોર્ટે કહ્યુ કે, જજમેન્ટ દેવાદાર (આ કિસ્સામાં સ્પાઈસ જેટ અને પ્રમોટર અજયસિંઘ) ને રૂ. ૨૪૨.૯૩ કરોડની રકમ દંડ પછીના વ્યાજની રકમ તરીકે છ સપ્તાહના સમયગાળામાં જમા કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જો રકમ જમા કરવામાં નહીં આવે તો, ડેક્રિ હોલ્ડર (આ કેસમાં કલાનિધિ મારન અને તેની કંપની કેએલ એરવેઝ) સ્પાઇસ જેટ લિમિટેડ અને અજય સિંઘની શેરહોલ્ડિંગના સંદર્ભમાં યથાવત્ સ્થિતિ જાળવવાનાં નિર્દેશો મેળવવા માટે સ્વતંત્ર રહેશે.
પાછલી પોસ્ટ