ભારતીય ટીમ અને આઈપીએલ ફ્રેન્ચાઇઝી કિંગ્સ ઇલેવન પંજાબના બેટ્સમેન મયંક અગ્રવાલે કહ્યું કે તે આતુરતાપૂર્વક આઈપીએલની ૧૩મી સિઝન માટે મેદાન પર ઉતરવાની રાહ જોઈ રહ્યો છે. આઈપીએલ ૨૦૨૦નો પ્રારંભ ૧૯ સપ્ટેમ્બરથી યુએઇમાં થશે. ભારતીય ટેસ્ટ ઓપનર મયંકે કિંગ્સ ઇલેવન પંજાબની જર્સીમાં ટવિટર પર એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં તેણે લખ્યું છે કે ‘હવે મેદાનમાં ઉતરવાની વધારે રાહ નથી જોઇ શકાતી.
એક શોમાં આશિષ નેહરાએ કહ્યું, મયંકે ડોમેસ્ટિક મેચોમાં અને ભારત-એ માટે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે અને તેથી તેને તક મળી છે. તે એવા ખેલાડીઓમાંનો નથી જે એક કે બે વર્ષથી ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહ્યા છે અને અચાનક જ બહાર આવ્યા છે. તેણે ઘણા બધા રન બનાવ્યા છે અને હું આશા રાખું છું કે તે સમયની સાથે તે વધારે સારો થતો જશે. જોકે, ૨૯ વર્ષીય મયંક ન્યુઝીલેન્ડ પ્રવાસ પર સારો દેખાવ કરી શક્યો ન હતો. ન્યુઝીલેન્ડ સાથે રમાયેલી બે ટેસ્ટ મેચની શ્રેણીમાં તેણે ૩૪, ૫૮, ૭ અને ત્રણ રન બનાવ્યા હતા.
નેહરાએ કહ્યું કે ન્યૂઝીલેન્ડ એ આખી દુનિયામાં બેટિંગ કરવા માટે સૌથી મુશ્કેલ જગ્યા છે અને મયંકે ત્યાં રમીને સારો અનુભવ મેળવ્યો હશે. ભૂતપૂર્વ ડાબોડી ઝડપી બોલરે કહ્યું કે, ‘તેમાં સમય લાગશે અને ન્યુઝીલેન્ડમાં બેટિંગ કરવી આસાન નથી. મારા અનુભવ પરથી, આ ગ્રહ પર બેટ્સમેન માટે સૌથી મુશ્કેલ સ્થાન છે તો એ છે ન્યૂઝીલેન્ડ. તે ફક્ત તેના માટે નથી પરંતુ તે દરેક માટે એક મોટો પડકાર છે. તેણે આશાઓ જગાવી છે, તેના વિશે કોઈ શંકા નથી. તમારી કારકિર્દીની શરૂઆતમાં તમારે દરેકને સમય આપવો પડશે.