મધ્યપ્રદેશના રાજ્યપાલ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલજી ટંડનનું નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે મંગળવાર સવારે તેમના પુત્ર આશુતોષે આ વાતની પુષ્ટિ કરી હતી. લાલજી ટંડન છેલ્લા ઘણા દિવસોથી બિમાર હતા, તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, આ જા કારણે મધ્યપ્રદેશના રાજ્યપાલનો કાર્યભાર આંનદીબેન પટેલને સોંપવામાં આવ્યો હતો. 85 વર્ષના લાલજી ટંડન છેલ્લાં કેટલાંય સમયથી બીમાર હતા અને તેમની સારવાર લખનઉની મેદાંતા હોસ્પિટલમાં ચાલી રહી હતી. લાલજી ટંડનના નિધનની પુષ્ટિ તેમના દીકરા અને યુપી સરકારમાં મંત્રી આશુતોષ ટંડને કરી હતી,
ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે જ લાલજી ટંડનની સ્થિતિ ફરી લથડી હતી. ગંભીર સ્થિતિમાં તેમને વેન્ટિલેટર પર રખાયા હતા. તેમની માહિતી લખનઉ સ્થિત મેદાંતા હોસ્પિટલના ડાયરેકટર ડૉ.રાકેશ કપૂરે આપી હતી. ડૉ.રાકેશ કપૂરે કહ્યું હતું કે આજે તેમની તબિયાત વધુ ગંભીર છે. તેમને ફૂલ સપોર્ટ પર રખાયા હતા.
મધ્યપ્રદેશના ગવર્નર લાલજી ટંડનને 11 જૂનના રોજ શ્વાસ લેવામાં મુશ્કેલી, તાવ અને પેશાબમાં મુશ્કેલીના લીધે લખનઉ સ્થિત મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. લાલજી ટંડનની તબિયત દિવસેને દિવસે બગડતી હતી. તેના લીધે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને મધ્યપ્રદેશનો વધારાનો કાર્યભાર સોંપાયો હતો.
લાલજી ટંડનનું 13મી જૂનના રોજ ઓપરેશન કરાયું હતું. સ્થિતિ ગંભીર થવા પર તેમને વેન્ટિલેટર પર શિફ્ટ કરાયા હતા. વચ્ચે બે દિવસ બાઇ-પેપ મશીન પર રહ્યા. મેદાંતા હોસ્પિટલના ડાયરેકટર ડૉ.રાકેશ કપૂરના મતે લાલજી ટંડનના કિડની ફંકશનમાં મુશ્કેલી હતી. એવામાં ડાયલિસિસ કરવી પડી રહી હતી. હવે લિવર ફંકશનમાં પણ મુશ્કેલી આવવાનું શરૂ થઇ ગયું હતું.
ત્યારે હવે તેમના નિધન બાદ ઘણા વરિષ્ઠ નેતાઓ શ્રદ્ધાંજલી અર્પી રહ્યા છે. લાલજી ટંડનનું નિધન બાદ યુપીમાં ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.