રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પોલીસ કર્મચારીઓ માટે સોશિયલ મીડિયાના વપરાશ માટેની ગાઇડલાઇન જાહેર કરી મનફાવે તે રીતે પોસ્ટ ન મૂકવાનો હુકમ કર્યો છે. ગુજરાતમાં પોલીસ અધિકારીઓ હમણાંથી સોશિયલ મીડિયામાં હેશટેગ થકી ગ્રેડ પે વધારાની માંગણી કરી રહ્યા છે, રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ સ્વહસ્તાક્ષરથી પરિપત્રિત કરેલા આ હુકમ અનુસાર કોઇપણ પોલીસ કર્મચારી પોતાની સર્વિસને લગતી કોઇપણ બાબત અંગેની ટીકા કે મંતવ્ય તેઓ સોશિયલ મીડિયા પર નહીં કરી શકે જેમાં સરકાર કે પોલીસ વિભાગ વિરુદ્ધ ટીપ્પણી હોય.
ખાનગી હેતુ માટે જો સોશિયલ મીડિયાનો કોઇ પોલીસકર્મી ઉપયોગ કરે તો તેણે સ્પષ્ટ કરવું પડશે કે તે તેનો વ્યક્તિગત અભિપ્રાય છે અને સત્તાવાર નથી અને આવી ટીપ્પણી તેમની સેવાના નિયમોથી વિપરીત નથી.
કોઇપણ પોલીસ કર્મીએ સોશિયલ મિડિયા પર તેવી કોઇપણ પોસ્ટ મૂકવી નહીં કે જેથી કરીને જાહેર અધિકારી તરીકે તેમની છબિને નુકશાન થાય કે સરકારી કે પોલીસ વિભાગને બદનામ કરે. હવેથી પોલીસ અધિકારીઓ પોતાની સેવા સંબંધિત ફરિયાદ અંગેની પોસ્ટ પણ કરી શકાશે નહીં. પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, અધિકારીઓએ સોશિયલ મીડિયામાં વ્યક્તિગત અભિપ્રાયો જ વ્યક્ત કરવા, પોલીસ અને સરકારની ટીકા કરતી પોસ્ટ નહી કરી શકે. આ ઉપરાંત પોતાની રીતે રાજકીય પ્રવૃત્તિથી પ્રેરિત કોઇપણ પ્રકારની પોસ્ટ નહીં કરી શકે કે પોતાના નિવેદન જાહેર નહી કરી શકે. આ ઉપરાંત જ્યાં કોઇ વોટ્સએપ કે સોશિયલ મિડિયા ગ્રુપ કે પ્લેટફોર્મ પર જાતિ, ધર્મ, રાજકારણ અંગેની ચર્ચા થતી હોય ત્યાં પોતાની રીતે ટીપ્પણી નહીં કરી શકે કે આ ઉપરાંત પોતાની સેવામાં મેળવેલી ઉપલબ્ધિ જેવી કે ડિટેક્શન કે અન્ય કોઇપણ બાબત જે તે નિયુક્ત થયેલાં અધિકારીએ જ સોશિયલ મીડિયા પર કરવાની રહેશે.