લોકડાઉનની સૌથી વધુ અસર એરલાઈન્સ સેક્ટરને થઈ છે. આર્થિક સંકટ સામે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝુમી રહેલી એરલાઈન કંપનીઓ પોતાના ખરચા ઘટાડવા નવા નવા ઉપાયો અજમાવી રહી છે. હવે ભારતની એર ઈન્ડિયાએ કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લીધો છે.
એર ઈન્ડિયા હવે તેના કર્મચારીઓને પગાર વગર જ લાંબી રજાઓ પર મોકલીએ શકે છે. તેને લીવ વિધાઉટ પે કહેવામાં આવે છે. આ રજાઓ 6 મહિનાથી લઈને પાંચ વર્ષ સુધીની હોઈ શકે છે. એટલે કે એર ઈન્ડિયા તેના કર્મચારીઓને 6 મહિનાથી લઈને 5 વર્ષ સુધીની લાંબી રજાઓ પર ઉતારી શકે છે અને તે કોઈ પણ પ્રકારનું વેતન ચુકવ્યા વગર.
સૂત્રો પ્રમાણે, એર ઈન્ડિયાના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર રાજીવ બંસલને કેટલાક કર્મચારીઓને છ મહિનાથી પાંચ વર્ષ સુધી પગાર વિના અનિવાર્યપણે રજા પર મોકલવાની સત્તા આપવામાં આવી છે. જે કર્મચારીઓને રજા પર મોકલશે તેમની કાર્યક્ષમતા, ક્ષમતા, કામગીરીની ગુણવત્તા, કર્મચારીઓના સ્વાસ્થ્ય, વગેરેના આધારે પસંદ કરવામાં આવશે. એર ઇન્ડિયાની આ યોજનાને બોર્ડ ઓફ ડિરેક્ટરની 102મી બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. હુકમ મુજબ મુખ્ય મથક અને પ્રાદેશિક વડાને આ યોજના અનુસાર કર્મચારીઓનાં નામ મુખ્ય મથકે મોકલવા કહેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના સંકટ હોવાના કારણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઉડ્ડયન ક્ષેત્રને આનાથી ગંભીર અસર થઈ છે. તમામ એરલાઇન લાઇન કંપનીઓ ભયંકર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી હોવાથી આ પ્રકારના નિર્ણયો લઈ રહી છે.