સુરતમાં કોરોનાનો કહેર સતત વરસી રહ્યો છે, તેને જોતા સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક ઇન્સ્ટોલ કરવામાં આવી છે. હોસ્પિટલમાં ગંભીર પ્રકારના દર્દીઓને પૂરતો ઓક્સિજન જથ્થો મળી રહે તેવા પ્રયાસ સાથે ટેન્ક ઈન્સ્ટોલ કરાઈ છે. નર્સિંગ ક્વાર્ટસ પાસે ઓક્સિજન ટેન્ક ઇન્સ્ટોલ કરવામાં આવી છે.
આ ટેન્કની ખાસિયત એ છે કે, ઓક્સિજન રિઝર્વ લેવલ પર પહોંચે ત્યારે કંપનીને તાત્કાલિક મેસેજે મળી જશે. જેથી કંપની દ્વારા ટેન્કમાં ઓક્સિજન રિફીલિંગ કરવામાં આવશે. ડિજીટલ સિસ્ટમ દ્વારા કંપનીને ઓક્સિજન રિફીલિંગનો મેસેજ મળે છે. બે-ત્રણ દિવસમાં ઓક્સિજન ટેન્ક કાર્યરત થઈ જશે. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા આ આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે.
કોરોના કહેર વચ્ચે સુરતના અલ્થાન વિસ્તારમાં ખાસ કોવિડ કેર સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. ઓક્સિજનની સુવિધા સાથે અદ્યતન ઇકોફ્રેન્ડલી કાર્બોડ 182 બેડની કોવિડ કેર હોસ્પિટલ ખુલ્લી મૂકાઈ છે. હોસ્પિટલમાં ખુલ્લી મુકવા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ હાજર રહ્યા હતા. આ હોસ્પિટલમાં ખાસ સુવિધાઓ મૂકાઈ છે..
- દર્દીઓને કંટાળો નહી આવે અને મનોરંજન મળી રહે તે માટે આઠ બેડ વચ્ચે એક ટીવીની વ્યવસ્થા કરાઈ છે.
- ગરમ પાણી પીવા માટે દરેક બેડ પર ઈલેક્ટ્રીક કિટલી અને બાફ લેવાનું મશીન મૂકાયું છે.
- નર્સ કે ડોક્ટરને બોલાવવા માટે દરેક બેડ પર ડિજિટલ બેલ મૂકાયો છે.
- કોરોનાનો દર્દી પરિવાર સાથે વાત કરી શકે તે માટે 18 વોકી ટોકી પણ ઉપલબ્ધ કરાવાયા છે.
- દરેક દર્દીના બેડ પર અલગ-અલગ પંખા પણ મૂકાયા છે.
- ડૉક્ટર અને નર્સ માટે એર કન્ડિશનર રૂમ બનાવાયો છે.
- આ ઉપરાંત 40થી વધુ શૌચાલય અને 4 હીંચકા મુકવામાં આવ્યા છે.