૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની પ્રતિબંધિત નોટોને સહકારી બેંકો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં જમા કરાવી શકે છે. નાણાંમંત્રાલયે નોટિફિકેશન બહાર પાડીને આ બાબતની મંજૂરી આપી દીધી છે કે આવતા ૩૦ દિવસની અંદર સહકારી બેંકો જૂની નોટોને જમા કરાવી શકે છે. આ રાહતના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે કેટલાંય જિલ્લાઓમાંથી રિપોટ્સ આવી રહ્યાં હતા કે ખેડૂતોને નાણાં આપવા માટે કૉ-ઑપરેટિવ બેંકો પાસે પૂરતી રોકડ નથી. ત્યારબાદ સરકારે બેંકો, પોસ્ટ ઓફિસ, જિલ્લા કેન્દ્રીય કૉ-ઑપરેટિવ બેંકોને ૫૦૦-૧૦૦૦ રૂપિયાની જૂની નોટો ત્રીસ દિવસની અંદર આરબીઆઈમાંથી એક્સચેન્જ કરવાની મંજૂરી આપી છે.
સહકારી બેંકોની પાસે જૂની નોટો મોટી સંખ્યામાં પડી છે, આવા કિસ્સાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં વધુ સામે આવ્યા છે. બેંકોનું કહેવું છે કે ખેડૂતોને તેના લીધે રોકડ આપી શકતા નથી. નોટબંધીના છ મહિના વીતી ગયા છતાં પણ તેમની પાસે જૂની નોટોના બંડલ પડ્યા છે, જેને તેઓ એક્સચેન્જ કરાવી શકયા નથી.મીડિયા રિપોર્ટસના મતે નાસિકના જિલ્લા કેન્દ્રીય સહકારી બેંક પાસે ૩૪૦ કરોડ રૂપિયાની કિંમતની જૂની ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટો છે. આ અંગે ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કૉ-ઑપરેટિવ બેંકના ચેરપર્સન નરેન્દ્ર દારાડે કહ્યું કે જ્યાં સુધી આ નોટોને નવી નોટોથી બદલાશે નહીં ત્યાં સુધી પેમેન્ટ કરવું મુશ્કેલ હશે. ઉલ્લેખનીય છે કે ૮ નવેમ્બરના રોજ પીએમ મોદીએ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની ચલણી નોટોને બંધ કરી દીધી હતી.