સાબરકાંઠા જિલ્લાવાસીઓને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે વિવિધ યોજના આધારિત ઇડર અને ખેડબ્રહ્મા તાલુકામાં ચાલતા કામોની પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ સમીક્ષા કરી હતી. જિલ્લાના પ્રવાસે આવેલા મંત્રી કુંવરજી બાવળીયાએ ઇડર તાલુકાના દેશોત્તર નજીક આવેલા જાલીયા-ઉમેદગઢ જૂથ પાણી પુરવઠા યોજનાના કામોની સમીક્ષા કરી થયેલ કામગીરીથી સંતોષ વ્યકત કર્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે, ધરોઇ ડેમ આધારીત જાલીયા જૂથ યોજનાથી ઇડર તાલુકાના ૩૨ ગામોને પીવાનું શુધ્ધ પાણી મળી રહશે. આ યોજના પાછળ ૫૮ લાખથી વધુનો ખર્ચ કરવામાં આવશે જયારે ઇડર શહેરીજનોને ઘેર-ઘેર પીવાનું પાણી મળી રહે તેની સાથે ભૂર્ગભ ગટર યોજનાનું ૧૨.૧૫ લાખના કામોની મંજૂરી આપવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યુ હતું.
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, ખેડબ્રહ્મા તાલુકામાં ધરોઇ ડેમ આધારીત જૂથ યોજનામાં ગાડુ ગામે જળ શુધ્ધિકરણ પ્લાન્ટ તેમજ ગોતા, ગલોડીયા, પરસોળા, અંદ્રોખા, ગુંદેલ, વરતોલ, બાવળકાંઠીયા, ગણેર, ખેડવા, મોટાબાવળ, બીલડીયા રાજપુર અને લાખીયા ગ્રૃપમાં સમાવિષ્ટ ૧૫૯ ગામોમાં રૂ. ૧૦૨.૫૮ કરોડના ખર્ચે પાણી પુરવઠાના કામો હાથ ધરાયા છે. ઇડર તાલુકાની મુલાકાત વેળાએ ધારાસભ્ય હિતુ કનોડીયા, ઇડર નગરપાલિકા પ્રમુખ જશવંતકુમારી વાઘેલા, અગ્રણી પ્રેમલ દેસાઇ, અશ્વિન પટેલ, કનુ પટેલ, અનિલ પટેલ સહિતના ગામના આગેવાનો અને સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)
આગળની પોસ્ટ