કાંકરેજ તાલુકાના ચીમનગઢમાં ૩૫ વર્ષીય યુવકની કરપીણ હત્યાની ઘટના સામે આવી છે. મળતી વિગતો અનુસાર દિનેશ રાયમલભાઈ કથરોટીયા રાત્રીના સમયે કપાસમાં પિયત કરવા માટે ખેતરે ગયા હતા જ્યાંથી તેમનો મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી. ખેતરમાં બાંધેલા છાપરા પાસે ખાટલામાંથી તેમનો મૃતદેહ મળ્યો હતો. ઘટના સ્થળેથી લોહીવાળી કુહાડી પણ મળી આવી છે. આ બનાવની જાણ થતાં શિહોરી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
મૃતકના પિતાના જણાવ્યા અનુસાર મૂળ રાજસ્થાનના શ્રમિકે તેમના પુત્રની હત્યા કરી છે, તે શ્રમિક અહીંયાં કામ કરતો હતો અને એકાદ મહિના પહેલા તેના ગામ જતો રહ્યો હતો. પરિવારને મૂકીને થોડા દિવસ પહેલા પરત આવ્યો હતો, તેણે આ હત્યા કર્યાનો આરોપ હાલમાં લગાવાઈ રહ્યો છે. કથિત આરોપીને ૫ થી૬ હજાર રૂપિયા પણ તેમણે વાપરવા આપ્યા હતા.ગામના સરપંચ મનોજ જોષીએ જણાવ્યું હતું કે પરિવારને ન્યાય મળવો જોઈએ. હત્યાની ઘટનામાં હાલ મૂળ રાજસ્થાનના શ્રમિક પર આરોપ લગાવાઈ રહ્યો છે.પોલીસ પણ કેસની તપાસમાં લાગી ગઈ છે.
(અહેવાલ :- મોહંમદ ઉકાણી, બનાસકાંઠા)
આગળની પોસ્ટ