વેરાવળ ખાતે છેલ્લાં ૧૯ વર્ષથી સતત વિનામૂલ્યે ચાલતુ રામદેવપીર ધૂન મંડળ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને આ ધૂન બોલાવવા માટે બે મહિના પહેલા બુકિંગ કરાવું પડે છે. આપણી ભારતીય સંસ્કૃતિ અને આપણા ધર્મને ઉજાગર કરવામાં સૌરાષ્ટ્ર સૌથી મોખરે છે ત્યારે વેરાવળ ખાતે આવેલ રામદેવપીર ધૂન મંડળમાં ૪૦થી ભાઇઓ તથા બહેનો સભ્યો છે. આ ધૂન મંડળ સૌરાષ્ટ્રમાં ગમે તે જગ્યાએ વિનામૂલ્યે ચાલી રહેલ છે જેમા દીપકભાઇ માંડવીયા તથા ગ્રુપ દ્રારા શ્રીનાથજીની ઝાંખી, રામાપીરનો હેલો , રામધૂન, બહેનોના રાસ ગરબા, દુહા, છંદ, સહિતના કાર્યક્રમ આપતાં હોય છે. પિતૃ કાર્ય હોય કે ધાર્મિક પ્રસંગ હોય કોઇ પણ સુખ અને દુખનાં સહભાગી આ ધૂનમંડળ બને છે અને જેમનું બુકિંગ પણ બે મહિના પહેલા કરાવવું પડે છે. આ ધૂન મંડળ કોઇ પણ પ્રકારના દાનની અપેક્ષા રાખતું નથી છતાં પણ કોઇ દાન આપે તો ગાયના ચારા માટે, પક્ષીના ચણ માટે જેવા સારા કાર્યોમાં વાપરવામાં આવે છે . ગીર સોમનાથ જિલ્લામાં આ ધૂન મંડળ લોકોના આકર્ષણનું કેન્દ્ર છે. દિપક માંડવીયા ( સંચાલક, રામદેવપીર ધૂન મંડળ, વેરાવળ )ના મતે આજરોજ વેરાવળનાં પત્રકાર મિતેષ પરમારના પિતાના શ્રાધ્ધ નિમિત્તે તેમના નિવાસસ્થાને ધૂનમંડળ આવ્યું હતું. આ ધૂનમંડળનો મુખ્ય હેતુ માત્ર ને માત્ર હિન્દુ સંસ્કૃતિનો વારસો આજના યુગમાં જળવાઇ રહે, ધર્મનો પ્રચાર થાય, ધાર્મિક વાતાવરણ બની રહે, લોકોમાં ભાઇચારાની ભાવના વધે તેવો છે.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)