લોકસભા ચૂંટણીમાં એનડીએને બહુમત મળશે અને વડાપ્રધાનની સીટ પર ફરી એક વખત નરેન્દ્ર મોદી બેસશે તેમ યોગ ગુરુ બાબા રામદેવે કહ્યુ છે. ૨૩ મે બાદ કેટલાક લોકોનું રાજકીય સ્વાસ્થ્ય કથળશે અને તેમને હાઇપર ટેન્શન તથા હાઇ બ્લડ પ્રેશર થશે. જેના કારણે તેમણે કપાલભાતિ અને અનુલોમ વિલોમ કરવાની જરૂર પડશે.
તેમણે એમ પણ કહ્યું કે, હાલના સમયે જે રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે, અસમંજસની સ્થિતિ છે. કેટલાક લોકો રાજકીય અસહિષ્ણુતા, અરાજક્તા ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે, તેના પર વિરામ લાગશે અને દેશમાં એક મજબૂત અને સ્થિર સરકાર બનશે.
બાબા રામદેવે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કર્યો હતો પણ આ ચૂંટણીમાં તેઓ પ્રચાર કરી રહ્યા નથી. પશ્ચિમ બંગાળમાં અમિત શાહની રેલી દરમિયાન થયેલી હિંસા મુદ્દે તેમણે જણાવ્યું, આ લોકતંત્રનું અપમાન છે. મમતા બેનર્જી ગભરાઈ ગયા છે. રાજનીતિમાં હિંસાને કોઇ સ્થાન ન હોઇ શકે.
અભિનેતા કમલ હાસન દ્વારા નાથુરામ ગોડસેને પ્રથમ હિન્દુ આતંકી કહેવા પર તેમણે જણાવ્યું, કમલ હાસન સારો અભિનેતા હોઇ શકે છે પરંતુ સારો નેતા નથી. તેની દાનતમાં જ ખોટ છે અને ડીએનએમાં કોઈ ગડબડ હોવાનું લાગે છે.