તામિલનાડુના મદુરાઈમાં એક ચૂંટણી જાહેરસભા દરમિયાન મક્કલ નિધિ મય્યમ (એમએનએમ)ના સંસ્થાપક અને અભિનેતા કમલ હસન પર ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. જોકે ફેંકાયેલું ચપ્પલ તેમને વાગ્યું ન હતું. આ ઘટના માટે જવાબદાર એક વ્યક્તિની અટકાયત કરી લેવામાં આવી છે. કમલ હાસને તાજેતરમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘સ્વતંત્ર ભારતનો પ્રથમ આતંકી હિન્દુ હતો. તેનું નામ નાથુરામ ગોડસે હતું. અહીંથી જ આતંકવાદની શરૂઆત થઈ હતી.’ આ નિવેદનને પગલે ભાજપ, એઆઈડીએમકે, સંઘ અને હિન્દુ મહાસભા હસન વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. હાસને મદુરાઈ નજીક તિરુપુરુનકુંદ્રમમાં જાહેરસભામાં કહ્યું કે, ‘મે અરાવકુરિચિમાં જે પણ જણાવ્યું, તેનાથી ભાજપ સહિત અન્ય પક્ષો નારાજ થઈ ગયા, પરંતુ મે ત્યાં ઐતિહાસિક સત્ય કહ્યું હતું. મારો ઉદ્દેશ વિવાદ ઊભો કરવાનો નહતો. મારા આ નિવેદનને કોઈ જાતિ કે ધર્મ સાથે લેવા-દેવા નથી.’ અરાવકુરિચિમાં હાસને કરેલા નિવેદન બદલ તેની વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ હતી. આ કેસમાં તેણે વચગાળાના જામીન માટે બુધવારે મદ્રાસ હાઈકોર્ટમાં કરેલી અપીલમાં કેસ રદ કરવા માંગણી કરી હતી. જો કે મદ્રાસ હાઈકોર્ટે હસનની જામીન અરજી ફગાવી દીધી હતી.
પાછલી પોસ્ટ