ભારતીય જનતા પાર્ટીને લોકસભા ચૂંટણી પહેલા મોટો ઝટકો મળ્યો છે. ભારતીય જનતા પાર્ટીના બાગી સાંસદ અને ૧૯૮૩ ક્રિકેટ વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમના ઓલરાઉન્ડર રહેલા કીર્તિ આઝાદે હવે કોંગ્રેસનો હાથ પકડવાનું નક્કી કર્યું છે. ભાજપથી નારાજ ચાલી રહેલા કીર્તિ આઝાદ રાહુલ ગાંધીની હાજરીમાં ૧૫ ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસમાં શામેલ થશે. કીર્તિ આઝાદનું કહેવું છે કે, છેલ્લા ૨૬ વર્ષોથી સતત ઇમાનદારીથી પાર્ટીની સેવા કરી, પરંતુ બદલામાં પાર્ટીએ પીઠ પાછળ છરો મારવાનું કામ કર્યું છે.
એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ભાજપએ મારી પીઠમાં છરો માર્યો છે, જ્યારે મેં ૨૬ વર્ષો સુધી પાર્ટી નિષ્ઠા અને કર્મઠતાની સેવા કરી હતી. હવે ફક્ત કોંગ્રેસ જ એક માત્ર રાષ્ટ્રીય પાર્ટી છે, જ્યાં હું જઇ શકું છું. બિહારના દરભંગાથી ત્રણ વાર સાંસદ રહી ચૂકેલા કીર્તિ આઝાદે મ્ત્નઁ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, હવે પાર્ટીમાં તાનાશાહી ચાલી રહી છે અને ફક્ત અઢી લોકો મળીને તેને ચલાવી રહ્યા છે.
કીર્તિ આઝાદે વધુમાં કહ્યું હતું કે, હવે ભાજપમાં જુમલાબાજીથી લોકોને મૂર્ખ બનાવવાનું કામ થઇ રહ્યું છે. ભાજપ ઇમાનદારીની વાત તો કરે છે, પરંતુ તેમાં અંદર જ ભ્રષ્ટાચાર દબાયેલો છે. ભાજપમા હવે બધુ બદલાય ગયું છે. આ સામુહિક સંગઠન બદલાઇને અઢી લોકોની પાર્ટી બની ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, કીર્તિ આઝાદના પિતા ભાગવત ઝા આઝાદ કોંગ્રેસ તરફથી બિહારના મુખ્યમંત્રી હતા.