ઉત્તરપ્રદેશના કાસગંજમાં પ્રજાસત્તાક દિવસે ત્રિરંગા રેલીને લઇને શરૂ થયેલી હિંસાનો દોર આજે રવિવારે પણ જારી રહ્યો હતો. આજે સવારે હિંસક તત્વોએ કાસગંજની એક દુકાનમાં આગ ચાંપી દીધી હતી. આ મામલામાં હજુ સુધી ૬૦ લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. સાત લોકોની સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી ચુકી છે. આરોપીના ઘરમાંથી દેશી બોંબ અને પિસ્તોલ મળી આવ્યા છે. મૃતક ચંદનના મુખ્ય આરોપી શકીલ હજુ પણ ફરાર છે. પોલીસ આરોપી શખ્સની ઉંડી શોધખોળ કરી રહી છે. પોલીસે તપાસ કરતા શકીલના ઘરેથી દેશી બોંબ અને પિસ્તોલ મળી આવ્યા હતા જેથી સ્થિતિ વણસેલી છે. પોલીસે આસપાસના લોકોની શકીલને લઇને પુછપરછ પણ હાથ ધરી છે. આજે સવારે હિંસાના છુટા છવાયા બનાવો બાદ જિલ્લાની સરહદોને સીલ કરી દીધી છે. કલમ ૧૪૪ લાગૂ કરી દીધી છે. ડીજીપી ઓપી સિંહે કહ્યું છે કે, સ્થિતિ કાબૂમાં છે. હિંસક તત્વોને છોડવામાં આવશે નહીં. કાયદો અને વ્યવસ્થાને કોઇપણ કિંમતે જાળવી રાખવામાં આવશે. રવિવારના સવારે કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવ્યા બાદ સ્થિતિ તંગદિલીપૂર્ણ બનેલી છે. પીએસી, રેપિડ એક્શન ફોર્સ અને અન્ય સુરક્ષા જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. ઇન્ટરનેટ સેવા બંધ કરવાનો નિર્ણય કરાયો છે. વિડિયો મારફતે અફવા ફેલાવવામાં ન આવે તે માટે આ પગલા લેવાઈ રહ્યા છે. કેટલાક વણઓળખાયેલા લોકોએ ૨૬મી જાન્યુઆરીના દિવસે કાસગંજમાં મોટરસાઇકલ પર વંદેમાતરમ અને ભારત માતા કી જયના નારા લગાવીને યાત્રા યોજી હતી. આ લોકો જેમ જ બીજા સમુદાયના લોકોના વિસ્તારમાં પહોંચ્યા ત્યારે હિંસાની શરૂઆત થઇ હતી. પથ્થરમારો અને ગોળીબારની શરૂઆત થઇ હતી. બંને પક્ષો વચ્ચે સ્થિતિ વણસી ગઈ હતી. ગોળીબાર દરમિયાન બે યુવાન અભિષેક ગુપ્તા ઉર્ફે ચંદન અને નૌશાદને ઇજા થઇ હતી. ઘાયલ ચંદનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ તેનું મોત થયું છે. ત્યારબાદથી કાસગંજમાં હિંસા વધુ ભડકી ગઇ હતી. હિંસક સ્થિતિને ધ્યાનમાં લઇને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ગંભીર નોંધ લીધી છે. કાર્યવાહી પણ શરૂ કરી છે.
આગળની પોસ્ટ