ખાદી ગ્રામોઉદ્યોગ આયોગેે કહ્યું કે, નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ખાદી ઉત્પાદનોનું વેચાણ ૨૮ ટકાના વધારા સાથે ૩૨૧૫.૧૩ કરોડ રુપિયા નોંધાયું છે. આ દરમિયાન હાથવણાટના ખાદી વસ્ત્રોનું ઉત્પાદનમાં ૧૬ ટકાના વધારા સાથે ૧૯૦૨ કરોડ રુપિયાના સ્તર પર પહોંચી ગયું છે.ખાદી ગ્રામોઉદ્યોગ આયોગેે કહ્યું કે, ખાદીના વસ્ત્રોનું વેચાણ વધવા પાછળ વડાપ્રધાન મોદીની લોકોને અપીલની ખાસ અસર જોવા મળી છે. કેવીઆઈસી દ્વારા રજૂ કરવામાં આવેલા આ આંકડાઓ પરથી જાણી શકાય છે કે, વર્ષ ૨૦૧૫થી ૨૦૧૯ની વચ્ચે ખાદી, પોલી અને સોલરના સંયૂક્ત ઉત્પાદનમાં ક્રમશઃ ૨૫.૫૨ ટકા અને ૩૪.૮૬ ટકાના દરે વાર્ષિક વૃદ્ધિ થઈ છે. વર્ષ ૨૦૦૪થી લઈને ૨૦૧૪ સુધી આ વૃદ્ધિ દર ક્રમશઃ ૬.૪૮ ટકા અને ૬.૮૨ ટકા જેટલો રહ્યો હતો.
ખાદી ગ્રામોઉદ્યોગ આયોગના ચેરમેન વિનય કુમાર સક્સેનાનું કહેવું છે કે, અમારા તૈયાર ઉત્પાદનોમાં નમો જેકેટ તમામ ઉંમરના લોકની પ્રથમ પસંદગી બન્યું છે. માત્ર નમો એપના માધ્યથી છેલ્લા ૨ મહિનામાં કેવીઆઈસી પાસેથી ૭૦૦૦ નમો જેકેટ ખરીદવામાં આવ્યા છે. આ ઉપરાંત અમારા અધિકારીક વેચાણ કેન્દ્રો પર પ્રતિ દિવસ ઓછામાં ઓછા ૨૦૦ નમો જેકેટ અને કુર્તાનું વેચાણ થાય છે.
તેમણે વધુમાં કહ્યું કે, વર્ષ ૨૦૧૯-૨૦૨૦ના અંત સુધીમાં ખાદીનું વેચાણ ૫૦૦૦ કરોડ રુપિયાથી પણ વધુ થવાનો અંદાજ છે.
વિનય કુમારે કહ્યું કે, આ સફળતાનો અંદાજ એ તથ્યો પરથી લગાવી શકાય કે, વર્ષ ૨૦૧૪-૧૫માં ૨,૦૦૨ કર્મચારીઓ સાથે ખાદીનું વેચાણ ૧૩૧૦.૯૦ કરોડ રૂપિયા હતું. પરંતુ વર્ષ ૨૦૧૮-૧૯માં માત્ર ૧૫૩૫ કર્મચારીઓ સાથે આ વેચાણ ૩૨૧૫.૧૩ કરોડ રુપિયા પર પહોંચી ગયું છે. એટલે કે, છેલ્લા પાંચ વર્ષમાં ૨૪ ટકા ઓછા કર્મચારીઓ હોવા છતાં ખાદીના વેચાણમાં ૧૪૫ ટકાથી વધુની વૃદ્ધિ થઈ છે. આ ઉપરાંત વિદેશમાં ખાદીના ઉત્પાદનોનું વેચાણને પ્રોત્સાહન આપવા માટે નિકાસ વિભાની પણ સ્થાપના કરવામાં આવી રહી છે.