કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ કોંગ્રેસના નેતાઓ પોતાના સંપર્કમાં હોવાનો દાવો કર્યો છે, ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પલટવાર કરતા કહ્યું છે કે, ભાજપની રીતીનિતીથી નારાજ કેટલાક ભાજપના ધારાસભ્યો અને આગેવાનો સતત કોંગ્રેસમાં સંપર્કમાં છે અને આગામી દિવસોમાં તેઓ કોંગ્રેસમાં જોડાશે.
કોંગ્રેસ અને ધારાસભ્ય પદ ઉપર રાજીનામુ આપીને ભાજપમાં જોડાયેલા કુંવરજી બાવળિયા તાજેતરમાં જસદણ પેટા ચૂંટણીમાં હરિફ કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને ૨૦ હજાર જેટલા વોટથી પરાજય આપીને વિજયી થયા છે. કુંવરજી બાવળિયાના વિજયથી ભાજપમાં તેમના કદમાં વધારો થયો છે. દરમિયાન ભાજપના મવડી મંડળે તેમને દિલ્હી બોલાવ્યા હતા.
કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા દિલ્હી ગયા હતા. તેમજ ભાજપના ટોચના નેતાઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત કોંગ્રેસના કેટલાક નેતાઓ પોતાના સંપર્કમાં હોવાનો દાવો કર્યો હતો. જેથી ગુજરાતના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપના અનેક નારાજ નેતાઓ કોંગ્રેસના સંપર્કમાં છે. ભાજપના અનેક નેતા, ધારાસભ્યો, સંગઠનના સભ્યો ભાજપની રીતીનિતીથી નારાજ છે. ભાજપની કાર્યપદ્ધતિથી નારાજ આ નેતાઓ આગામી દિવસોમાં કોંગ્રેસમાં જોડાઈને કોંગ્રેસને વધુ મજબુત બનાવશે.