ગુજરાતમાં આજે પણ નાત બહાર મૂકવાની ક્રૂર પ્રથા અમલી છે. સમાજના બની બેઠેલા નેતાઓ આજે પોતાની જ્ઞાતિઓમાં કાયદા અને બંધારણ વિરુદ્ધ મનમાની કરતા હોવાના બનાવો બનતા રહ્યા છે. જાફરાબાદમાં દરિયા ખેડૂ સમાજમાં આવી એક ઘટના બની છે. ખારવા જ્ઞાતિના પ્રમુખ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી તો તેમણે પોતાના જ જ્ઞાતિ બંધુને જ્ઞાતિ બહાર ધકેલી દીધા છે. ખારવા સમાજમાં સામુહિક લગ્ન અને બીજા રિવાજોમાં સુધારા કરવામાં આવી રહ્યા છે ત્યારે અહીં સમાજને બંધનમાં રાખવામાં આવી રહ્યો છે.
ખારવા પરિવારો વચ્ચે સામાન્ય બાબતની તકરાર થઈ હતી. ૧૦ સભ્યોના પરિવારને ખારવા સમાજના પ્રમુખે જ્ઞાતિ બહાર કરી દીધા છે. તેથી પરિવાર મુશ્કેલીમાં આવી પડ્યું છે. તેમણે દરિયામાંથી પકડેલી રૂ.૧.૫૦ લાખની માછલીઓ પણ કોઈએ ન લેતા તે બગડી ગઈ છે. તેમની સાથેના તમામ વ્યવહારો કાપી નાંખવા પ્રમુખે તેની જ્ઞાતિને આદેશ કર્યો છે.
આ સંદર્ભે અમરેલી કલેક્ટરની સમક્ષ પરિવારે ફરિયાદ કરી છે પણ તેમની વાત કલેક્ટર પણ સાંભળતી નથી. સરકારે પણ હાથ ઊંચા કરી દેતા આખરે પરિવાર દ્વારા ન્યાય આપવા માટે જાહેર માંગણી કરી છે અને જો ન્યાય નહીં મળે તો તેઓ સામૂહિક આત્મહત્યા કરી લેશે. આમ ભાજપની નિષ્ફળ એવી વિજય રૂપાણીની સરકારમાં જે રીતે અન્યાય માટે જાહેરમાં સળગી મરવાની અને આત્મહત્યા કરવાની ઘટના વધી છે તેમાં એક ઉમેરો થયો છે. લોકો હવે સરકારના અને સમાજના અન્યાયના કારણે જાહેરમાં પોતે જ પોતાની હત્યા કરી રહ્યા છે.