ઉત્તર પ્રદેશમા માનવજાતને શરમાવે તેવી ધૃણાસ્પદ ઘટના બની છે. યુપીમાં ૧૬ વર્ષની સગીરા પર ખાનગી હોસ્પિટલના આઇસીયુમાં સામૂહિક બળાત્કારની ઘટના સામે આવી છે. હકીકતમાં સગીરા બદાયુ રોડ પર એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહી હતી, ગુરુવારે સાંજે હોસ્પિટલના એક કમ્પાઉન્ડર અને બે અજાણ્યા વ્યકિતઓએ કથિત રીતે સગીરા પર સામૂહિક બળાત્કાર ગુજાર્યું હતું. આ ઘટના શુક્રવારે સાંજે પ્રકાશમાં આવી હતી જ્યારે સગીરા ભાનમાં આવી અને તેણે સમગ્ર ઘટનાની જાણકારી તેની માતાને આપી હતી.પ્રાપ્ત માહિતી મુજબ, ફૂડ પોઇઝનિંગને કારણે સગીરાને ૨૯ ઓક્ટોબર ૨૦૧૮એ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. એસપી એ સિંહે જણાવ્યું કે, પીડિતાના પિતા દ્વારા કરાયેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, સગીરા ગત ગુરુવારથી આઇસીયુમાં દાખલ હતી અને બેહોશ હતી તેની બેહોશીનો લાભ ઉઠાવીને હોસ્પિટલના કમ્પાઉન્ડર અને બે અજાણ્યા શખ્સોએ તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યું હતું. શુક્રવારે આ ઘટના અંગેની જાણકારી તેની માતાને આપી હતી ત્યારબાદ સગીરાને જનરલ વોર્ડમાં ખસેડાઇ હતી.ફરિયાદના આધાર પર હોસ્પિટલના કમ્પાઉન્ડર સુનિલ કુમાર અને બે અજાણ્યા વ્યકિતઓ વિરુદ્ધ આઇપીસીની કલમ ૩૭૬ડી અને પોક્સો કાયદા હેઠળ કેસ દાખલ કરાયો છે. પોલીસે જણાવ્યું હતું કે, સગીરા બેહોશીની અવસ્થામાં હોવાથી તેને ફરીથી આઇસીયુમા ખસેડવામાં આવી છે અને જ્યારે તે હોશમાં આવશે ત્યારે તેની મેડિકલ તપાસ કરાવવામાં આવશે.એસપી એ સિંહે જણાવ્યું હતું કે, અમે મામલાની તપાસ શરૂ કરી દીધી છે, ઘટના બની ત્યારે આઇસીયુમાં પીડિતા સિવાય ૮ દર્દીઓ હાજર હતા.સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓ એકઠા કરવામાં આવી રહ્યા છે.ત્યાંજ પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે, આઇસીયુમાં દાખલ કરાયા બાદ અમારી પુત્રી સાથે કોઇને પણ મળવાની પરવાનગી આપવામાં આવી નહતી. સામાન્ય વોર્ડમા ટ્રાન્સફર થયા બાદ તેણે તેની માતાને આ અંગે જાણકારી આપી હતી. જો પોલીસ આરોપીઓની ધરપકડ કરશે નહી તો અમે મુખ્યમંત્રી કાર્યાલય સાથે સંપર્ક સાધીશું. ત્યાંજ હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે, આ એક ખોટી ફરિયાદ છે, સુનીલ કુમાર ૩ વર્ષથી અમારી હોસ્પિટલમાં કામ કરી રહ્યો છે અને અમે તમામ મેડિકલ તપાસ કરી છે અને પોલીસને સીસીટીવી ફૂટેજ પણ આપી છે.