૨૦૧૯ની લોકસભાની ચૂંટણીને લઈને વિહારમાં એનડીએના ઘટક દળો વચ્ચે બેઠકોની ફાળવણીને લઈને ફોર્મ્યુલા લગભગ નક્કી થઈ ગયો હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બિહારમાં ભાજપ ૨૦ બેઠક પરથી ચૂંટણી લડશે. જ્યારે નીતીશ કુમારની જેડીયૂ ૧૨ના ફાળે બેઠકો આવી છે. રામ વિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીને ૫ બેઠકો મળશે. ફોર્મ્યૂલા અનુંસાર તાજેતરમાં ખીરના રાજકારણના સહારે એનડીએમાં દબાણ બનાવવાનો પ્રયાસ કરતા કેન્દ્રીય રાજ્ય મંત્રી ઉપેન્દ્ર કુશવાહાની લોલ સમતા પાર્ટી (આરએલએસપી) જો એનડીએની સાથે રહે તો તેના ભાગમાં બે બેઠકો આવી શકે છે. આ ઉપરાંત સૂત્રોના જણાવ્યા પ્રમાણે જેડીયૂને ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં પણ એક એક બેઠક આપવાની ભાજપે તૈયારી દર્શાવી છે. જ્યારે આરએલએસપી વિરૂદ્ધ બંડ પોકારી ચુકેલા જહાનાબાદના સાંસદ અરૂણ કુમારને એક બેઠક આપવામાં આવશે. આગામી લોકસભાની ચૂંટણીમાં બિહારમાં ભાજપ અને જેડીયુ વચ્ચે ઘણા સમયથી બેઠકોની ફાળવણીનું કોકડું બરાબરનું ગુંચવાયું હતું. ભાજપની નજર બિહારની ૪૦ બેઠકો પર ટકી છે. તો નીતીશ કુમાર વધારે બેઠકોની માંગણી કરી રહ્યાં હતાં. આખરે ૨૦ઃ૨૦નો ફોર્મ્યુલા નક્કી થયો હોવાનું માહિતગાર સૂત્રોનું કહેવું છે. જેમાં ૨૦ બેઠકો પરથી ભાજપ અને બાકીની ૨૦માં ૧૨ જેડીયુ, ૫ એલજેપી, ૨ ઉપેન્દ્ર કુશવાહાના પક્ષને અને એક આરએલએસપી વિરોધી બંડ પોકારનારા સાંસદ અરૂણ કુમારને આપવામાં આવશે. આ ઉપરાંત આ વખતે ચૂંટણીમાં વિનિંગ ફેક્ટરના આધારે જ ટિકીટની ફાળવણી કરવામાં આવશે. ભાજપ ઉપરાંત જેડીયૂ અંદરો અંદર કેટલીક બેઠકોની અદલા બદલી કરી શકે છે.
પાછલી પોસ્ટ