લખનઉમાં પોલીસ વિભાગમાં પટાવાળા/મેસેન્જરની ૬૨ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી હતી જેના માટે ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત પાંચ પાસ રાખવામા આવી હતી. પરંતુ આવેલી અરજીઓ જોઇને સિલેક્શન બોર્ડ પણ દંગ રહી ગયું છે. ૬૨ પોસ્ટ માટે લગભગ ૫૦ હજાર ગ્રેજ્યુએટ, ૨૮ હજાર પોસ્ટ ગ્રેજ્યુએટે અરજી કરી હતી. એટલું જ નહી આ પોસ્ટ માટે ૩૭૦૦ પીએચડી (ડૉક્ટરેટ) ઉમેદવારો દ્વારા પણ અરજી કરવામાં આવી છે. ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટમાં બી.ટેક અને એમબીએનો પણ સમાવેશ થાય છે. ૯૩૦૦૦ પૈકિ ૭૪૦૦ એવા અરજદારો છે, જેમણે ધોરણ પાચથી બારમાં ધોરણ વચ્ચે અભ્યાસ કર્યો છે. પોલીસ વિભાગે જણાવ્યું કે, આ ૬૨ પોસ્ટ ગત ૧૨ વર્ષથી ખાલી પડી છે. એક અધિકારીએ જણાવ્યું કે, અત્યાર સુધી તેમને સાઇકલ ચલાવતા આવડે છે એવું સેલ્ફ ડિક્લેરેશ્ન લેવાતું હતું. જોકે આટલી મોટી સંખ્યામાં ઓવર ગ્રેજ્યુએટ લોકોની અરજી આવ્યા બાદ હવે અમારે સિલેક્શન ટેસ્ટ લેવી પડશે. એડીજી(ટેલિકોમ) પી.કે. તિવારીએ જણાવ્યું કે, આ સારી બાબત છે કે આટલા મોટા પ્રમાણમાં ડિગ્રી ધારકોએ અરજી કરી છે. અમે તેમને બીજા અન્ય કામોમાં પણ ઉપયોગમાં લઇ શકીશું. ટેક્નિકલ કેન્ડિડેટને ઝડપથી પ્રમોશન પણ મળશે અને તેઓ અમારા વિભાગ માટે અત્યંત ઉપયોગી થશે. તેમણે જણાવ્યું છે કે, આ વખતે પરિક્ષાની પદ્ધતિમાં ફેરફાર કરાયા છે, પરિક્ષામાં જનરલ નૉલેજ, બેઝિક મેથ્સ અને રિઝનિંગનાં પ્રશ્નો પૂછાશે.