સંસદમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઇને આજે વધુ એક વખત ભારો હોબાળો જોવા મળ્યો હતો. બીજી તરફ નાણામંત્રી અરુણ જેટલીએ વિપક્ષ કોંગ્રેસના નેતાઓની આ મામલે આજે મુલાકાત કરી હતી. જેટલીએ મંગળવારે રાજ્યસભામાં સભ્યોના હંગામાની વચ્ચે સમાધાન કરવાની કોશિશ કરતા વિપક્ષી નેતાઓ સાથે અલગ બેઠક કરવાની તૈયારી બતાવી હતી. સદનમાં ચાલી રહેલા ગતિરોધની વચ્ચે જેટલીએ આગતિરોધને દૂર કરવા માટે વિપક્ષના નેતાઓની મુલાકાત પણ લીધી હતી. કોંગ્રેસ અને વિપક્ષો વચ્ચે ગત શુક્રવારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ વિશે કરવામાં આવેલી ટિપ્પણીને લઇ ભારે હંગામો ચાલી રહ્યો છે. લોકસભામાં ભારે હંગામા બાદ સ્પીકર સુમિત્રા મહાજને સદનની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી તો રાજ્યસભામાં વિપક્ષ નેતા ગુલાબ નબી આઝાદે વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલી આ ટિપ્પણી દુર્ભાગ્યપૂર્ણ બતાવતા કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની નિષ્ઠા અને દેશ પ્રેમ ઉપર સંદેહ કરી શકાય નહીં. આ પરિસ્થિતિ વચ્ચે રાજ્યસભામાં આજે પણ તાનાશાહી નહીં ચલેગી અને પીએમ મોદી માફી માંગે તેવા સુત્રોચ્ચારની સાથે કોંગ્રેસના સભ્યોએ સરકારને ઘેરવાની કોશિશ કરી હતી. કોંગ્રેસના સાંસદ આનંદ શર્માએ કહ્યું હતું કે, અમે ઇચ્છીએ છીએ કે સદન ચાલે. પરંતુ સરકારે પહેલા સંસદીય મર્યાદાનું પાલન કરવું જોઇએ. બીજી તરફ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કોંગ્રેસના સભ્યોને ગૃહમાં કાર્યવાહી ચાલવા દેેવા માટે અપીલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતની ચૂંટણી પ્રચાર દરમિયાન પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ વિરુદ્ધ કથિત ટિપ્પણી કરવામાં આવી હતી.
આગળની પોસ્ટ