Aapnu Gujarat
બ્લોગ

પૃથ્વીનું સૌથી ઠંડુંગાર સ્થળ : ઍન્ટાર્કટિકા

પૃથ્વીનું સૌથી ઠંડુંગાર સ્થળ, એક કરોડ ૪૦ લાખ ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલી બરફની અફાટ ચાદર, પ્રતિ કલાકે ૨૦૦થી ૨૫૦ કિલોમીટરની ઝડપે ફૂંકાતો કાતિલ પવન, સમુદ્રમાં તરતી લાખો ટનની મહાકાય હિમશિલાઓ અને માનવવિહીન વસવાટ. પૃથ્વીનો સૌથી ઠંડોગાર કૉન્ટિનન્ટ (ખંડ) ઍન્ટાર્કટિકા. આપણી પૃથ્વીનું સૌથી નીચેનું બિંદુ એટલે કે સાઉથ પોલ (દક્ષિણ ધ્રુવ) આ કોલ્ડેસ્ટ કૉન્ટિનન્ટનો એક હિસ્સો છે. પૃથ્વીના આ સૌથી ટાઢાબોળ સ્થળે જઈને પણ ભારતના સાયન્ટિસ્ટો વિવિધ અને વિશિષ્ટ પ્રકારનાં સંશોધનો કરે છે એ હકીકતથી દેશના સામાન્ય નાગરિકો અજાણ હોય એ સમજી શકાય એવી વાત છે.જરા કલ્પના કરો કે પૃથ્વીના આટલા બધા ટાઢાબોળ અને બરફીલા વિસ્તારમાં જઈને ભારતના વિવિધ ક્ષેત્રના સાયન્ટિસ્ટો ફ્ક્ત ભારત માટે જ નહીં, સમગ્ર વિશ્વ માટે બહુ ઉપયોગી એવું સંશોધન કરે એ કાર્ય કેટલું પડકારરૂપ અને સાહસપૂર્ણ હોય. જોકે ઍન્ટાર્કટિકા પર જઈને અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઑસ્ટ્રેલિયા અને સોવિયેટ રશિયા વગેરે રાષ્ટ્રો પણ સંશોધનાત્મક અભ્યાસ કરે છે. આમ છતાં બરફના વિશાળ રણસમાન ઍન્ટાર્કટિકા પર જતા ભારતના વિજ્ઞાનીઓની તથા તેમના મદદનીશ સ્ટાફની પસંદગી કેવી રીતે થાય છે, ઍન્ટાર્કટિકા જવાની શરૂઆત ક્યારે થઈ, આપણા સાયન્ટિસ્ટો અહીં ચોક્કસ કયા-કયા પ્રકારનું સંશોધન કરે છે, એ સંશોધનનો હેતુ શો છે, અત્યાર સુધીનાં વષોર્માં કેટલી સફળતા મળી છે અને કોઈ નવતર કે વિશિષ્ટ સંશોધન થયું છે કે કેમ, ઍન્ટાર્કટિકાના સરેરાશ માઇનસ ૩૯થી માઇનસ ૪૦ ડિગ્રી સેલ્સિયસ જેટલા અસહ્ય અને ગાત્રો થીજી જાય એટલા ઠંડાગાર વાતાવરણમાં આપણા સાયન્ટિસ્ટો કઈ રીતે અને ક્યાં રહે છે અને તેમની સલામતી માટે કેવી વ્યવસ્થા હોય છે એ બધી થોડીક ટેદ્યક્નકલ છતાં બહુ રસપ્રદ વિગતો જાણવા-સમજવા જેવી તો ખરી જ.ઍન્ટાર્કટિકાનો સમગ્ર કાર્યક્રમ એનસીએઓઆર, ગોવા દ્વારા તૈયાર થાય છે અને ગોવાની ઑફિસ ભારત સરકારની મિનિસ્ટ્રી ઑફ અર્થ સાયન્સના માર્ગદર્શનમાં કામગીરી કરે છે. અમારી ટીમ નવેમ્બરના પહેલા સપ્તાહમાં ગોવાથી સાઉથ આફ્રિકાના કેપટાઉન શહેર થઈને ઍન્ટાર્કટિકા જશે. અમારી ટીમમાં લગભગ ૧૦૦ સભ્યો હશે, જેમાં ૩૦ વિજ્ઞાનીઓ અને ૭૦ જણનો લૉજિસ્ટિક સ્ટાફ હશે. આ સ્ટાફમાં મેકૅનિકલ અને ઇલેક્ટ્‌્રીકલ એન્જિનિયર્સ, ડૉક્ટર્સ, કન્સ્ટ્રકશન વર્કર્સ અને ડ્રાઇવર્સ વગેરેનો સમાવેશ થાય છે. ખાસ કરીને વિજ્ઞાનીઓની ટીમમાં હવામાનશાસ્ત્રીઓ, પર્યાવરણશાસ્ત્રીઓ, જીવશાસ્ત્રીઓ, સમુદ્રવિજ્ઞાનને લગતી બાબતોના નિષ્ણાતો, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વિશે સંશોધન કરતા વિજ્ઞાનીઓ અને ભૂગર્ભશાસ્ત્રીઓનો સમાવેશ થાય છે. આ બધા વિજ્ઞાનીઓની પસંદગી ઇન્ડિયા મિટિયરોલૉજિકલ ડિપાર્ટમેન્ટ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ જિયોમૅગ્નેટિઝમ, જિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા, નૅશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, નૅશનલ ફિઝિકલ લૅબોરેટરી તથા સ્નો ઍન્ડ ઍવલૅન્શ સ્ટડી એસ્ટાબ્લિશમેન્ટ વગેરે સાયન્ટિફિક ઇન્સ્ટિટ્યૂટમાંથી થાય છે. ઉપરાંત દેશની વિવિધ રિસર્ચ લૅબોરેટરીઝ, યુનિવર્સિટીઝ અને ઇન્સ્ટિટ્યૂટ્‌સમાંથી પણ સાયન્ટિસ્ટોની પસંદગી થાય છે.જોકે આ તમામ વિજ્ઞાનીઓની અને લૉજિસ્ટિક સ્ટાફની પસંદગીનાં ધોરણો બહુ જ કડક અને ચુસ્ત હોય છે. એટલે કે બધાનું દિલ્હીની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં મેડિકલ ચેક-અપ થાય છે. મેડિકલ ચેક-અપમાં સફળ થનારા મેમ્બર્સને ત્યાર પછી બદરીનાથ જતાં વચ્ચે રસ્તામાં આવતા નાનકડા પણ ભરપૂર કુદરતી સૌંદર્ય ધરાવતા ઔલી નામના બરફીલા-પહાડી સ્થળે આવેલા ઇન્ડો-તિબેટન પોલીસ સેન્ટરમાં બરફીલા અને ઠંડાગાર વાતાવરણમાં કઈ રીતે રહેવું એની ખાસ ટ્રેઇનિંગ અપાય છે. આ તાલીમ દરમ્યાન મેમ્બરની શારીરિક અને માનસિક કસોટી થાય છે અને ઍન્ટાર્કટિકા જેવા પૃથ્વી પરના સૌથી ઠંડાગાર વિસ્તારમાં કઈ રીતે રહેવું અને કામગીરી કરવી એ જાણવા-શીખવા મળે છે.’ ઍન્ટાર્કટિકા પર ચારે તરફ બરફ જ બરફ હોવાથી અને દરિયામાં પણ તોતિંગ આઇસબર્ગ તરતી હોવાથી આઇસ-બ્રેકર અથવા આઇસ-ક્લાસ પ્રકારનાં ખાસ ટેક્નૉલૉજીથી બનાવેલાં શિપનો ઉપયોગ કરવો આવશ્યક છે. વિશિષ્ટ પ્રકારની શિપ બહુ જ મજબૂત હોવાથી એ એક, બે કે ત્રણ મીટર જાડા આઇસને પણ તોડીને આગળ વધી શકે છે.‘૧૯૮૧-૮૨માં ભારતની પહેલી ટીમ પૃથ્વીના દક્ષિણ ધ્રુવના આ વિશાળ બરફીસ્તાનમાં સંશોધન માટે ગઈ ત્યારથી લઈને આજ સુધીમાં લૉન્ગ ટર્મ પ્રોગ્રામ અને શૉર્ટ ટર્મ પ્રોગ્રામ એમ બે પ્રકારનાં સંશોધન થાય છે. લૉન્ગ ટર્મના પ્રોગ્રામ ૧૦થી ૧૫ વર્ષના અને શૉર્ટ ટર્મ પ્રોગ્રામ એક, ત્રણ અને પાંચ વર્ષના હોય છે. જોકે આ બધા સંશોધન-કાર્યક્રમોનું આયોજન એક નૅશનલ સાયન્ટિફિક કમિટી દ્વારા તૈયાર થાય છે, જેમાં વિવિધ સંસ્થાના વિજ્ઞાનીઓ હોય છે. લાંબા ગાળાનાં સંશોધન આમ તો આખું વર્ષ ચાલે છે અને વિન્ટર મેમ્બર્સ ઍન્ટાર્કટિકામાં ૧૨થી ૧૪ મહિના રહે છે, જ્યારે ટૂંકા ગાળાના સંશોધન સમરમાં એટલે કે ઉનાળામાં થાય છે અને સમર મેમ્બર્સ અહીં ફક્ત ત્રણથી પાંચ મહિના રહે છે.’ઍન્ટાર્કટિકા પર ભારતની પ્રથમ ટીમ ૧૯૮૨માં ગઈ હતી. એ ટીમમાંના ૨૧ મેમ્બર્સ આમ તો ફ્ક્ત ૧૦ દિવસ ઍન્ટાર્કટિકા પર રહ્યા હોવા છતાં તેમણે ત્યાં જિયોલૉજી , જિયોફિઝિક્સ , મિટિયરોલૉજી, જિયોમૅગ્નેટિઝમ , ઓશનોગ્રાફી અને બાયોલૉજી વગેરે જેવા વિષયો વિશે સંશોધન કરીને એક મહત્વની શરૂઆત કરી હતી. જોકે ત્યાર પછી ૧૯૮૩માં ભારતનું પ્રથમ સ્ટેશન દક્ષિણ ગંગોત્રી ઍન્ટાર્કટિકાના આઇસ શેલ્ફ પર શરૂ થયું. દક્ષિણ ગંગોત્રીમાં ૧૯૮૯ સુધી આખા વર્ષ દરમ્યાન વિવિધ પ્રકારના સંશોધનાત્મક કાર્યક્રમો યોજાતા હતા. જોકે ૧૯૮૯માં દક્ષિણ ગંગોત્રી સ્ટેશન બરફ નીચે દટાઈ જવાથી સલામતીનાં કારણોને ધ્યાનમાં લઈને એને હંમેશ માટે બંધ કરી દેવાયું. આમ છતાં ૧૯૮૯માં જ દક્ષિણ ગંગોત્રીથી લગભગ ૯૦ કિલોમીટર દૂર એક દ્વીપ નજીકના એક ખડકાળ વિસ્તારમાં મૈત્રી નામનું નવું સ્ટેશન શરૂ કરી દેવાયું હતું. આ મૈત્રી સ્ટેશનમાં હાલ આખું વરસ વિવિધ પ્રકારનાં સંશોધન થાય છે. જોકે ભવિષ્યને ધ્યાનમાં રાખીને ભારતી નામના વધુ એક નવા સ્ટેશનનું કન્સ્ટ્રક્શન કાર્ય શરૂ કરી દેવાયું છે.ઍન્ટાર્કટિકા પર પૃથ્વીના કુદરતી સુરક્ષા કવચરૂપે ઓઝોનનું પડ પાતળું પડી રહ્યું છે. કારણ છે, સમગ્ર વિશ્વમાં સતત વધી રહેલું પોલ્યુશન (પ્રદૂષણ). ન માની શકાય એવી બાબત એ છે કે પ્રદૂષણનાં આ બધાં ઝેરી વાદળો છેવટે તો પૃથ્વીના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ ભણી જ જાય છે. સરવાળે મધર અર્થનું સમગ્ર વાતાવરણ પણ ગંદું-ગોબરું થઈ રહ્યું છે. વળી, ભારે ચિંતાજનક બાબત તો એ છે કે ઉનાળામાં અહીં નવો ઓઝોન નથી બનતો, જે પરિસ્થિતિ પૃથ્વીના વિરાટ ગોળાની સલામતી માટે બહુ ખતરનાક ગણાય. ઓઝોન વાયુની વિશાળ ચાદરને કારણે જ આકાશમાં ઝળહળતા સૂર્યનારાયણમાંથી ફેંકાતાં ભારે હાનિકારક અલ્ટ્રાવાયલેટ કિરણોથી પૃથ્વીની સમસ્ત જીવસૃષ્ટિ હેમખેમ રહી શકે છે. કહેવાનો અર્થ એ છે કે ઍન્ટાર્કટિકા પર ઓઝોનની પ્રાકૃતિક ચાદરમાં કેવી ગતિવિધિ થઈ રહી છે એ વિશે પણ અહીં સતત અભ્યાસ થઈ રહ્યો છે.૧૯૯૦થી ૨૦૦૫ના સમયગાળામાં પૃથ્વીના સધર્ન હેમિસ્ફિયર (દક્ષિણ ગોળાર્ધ)માં અને ખાસ કરીને ઍન્ટાર્કટિકાના અમુક વિસ્તારમાં મૅગ્નેટિક ફીલ્ડ નું પ્રમાણ ચિંતાજનક રીતે ઘટી રહ્યું હતું, જે પ્રમાણ વૈશ્વિક સ્તરના પ્રમાણની સરખામણીએ ઘણું વધુ હતું. આ રિસર્ચ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટટ ઑફ જિયોમૅગ્નેટિઝમના વિજ્ઞાનીઓએ કર્યું હતું. ઍન્ટાર્કટિકાના મૈત્રી સ્ટેશનમાંની ઑબ્ઝર્વેટરી (વેધશાળા) દ્વારા થયેલું આ સંશોધન ભારતીય વિજ્ઞાનીઓની આંતરરાષ્ટ્રીય સ્તરની બહુ મહત્વની સિદ્ધિ ગણાય છે.મૈત્રી સ્ટેશનમાં ઍન્ટાર્કટિકા પર થતા હવામાનના ફેરફાર વિશે ગહન સંશોધન થાય છે. આ રિસર્ચની મહત્વની અને ઉપયોગી વિગતો ભારતીય હવામાન ખાતાને અપાય છે. આ માહિતીના આધારે ભારતીય હવામાન વિભાગ દેશના ચોમાસા વિશે આગાહી કરી શકે છે.ઍન્ટાર્કટિકા પર પૃથ્વીના કુદરતી સુરક્ષા કવચરૂપ ઓઝોનની ચાદરમાં મોટાં છિદ્રો પડી રહ્યાં છે. આ ઘટના સમગ્ર વિશ્વ માટે ઘેરી ચિંતારૂપ છે. જોકે ભારતીય સાયન્ટિસ્ટો ઓઝોનની ચાદરમાં થઈ રહેલી આ ગતિવિધિ વિશે સતત અને ઉપયોગી રિસર્ચ કરી રહ્યાં છે.ભારતીય વિજ્ઞાનીઓએ એન્ટાર્કટિકા પર લગભગ ૨૦૦ જેટલા નવા જીવોની પ્રજાતિ ખોળી કાઢી છે.ઍન્ટાર્કટિકા પર નજર નાખો ત્યાં સુધી ફ્ક્ત અને ફક્ત બરફ છવાયેલો છે. સરળ રીતે સમજીએ તો આ સમગ્ર વિસ્તારનો ૯૮ ટકા જેટલો ભાગ બરફથી ઢંકાયેલો છે અને ફક્ત બે ટકા જેટલા હિસ્સામાં પર્વતમાળા અને નાની-મોટી ટેકરીઓ છે. આઇસ કોરિંગ એટલે એન્ટાર્કટિકા પરના જાડા-ઘટ્ટ બરફમાં આઇસ કોરર અને લેક કોરર જેવાં ડ્રિલ મશીનની મદદથી લગભગ ૬૦થી ૭૦ મીટર જેટલું ઊંડું ડ્રિલિંગ કરવામાં આવે છે. આઇસ કોરિંગનો હેતુ એ હોય છે કે ભૂતકાળમાં બે, ત્રણ કે પાંચ હજાર વર્ષ અગાઉ પૃથ્વીનું વાતાવરણ કેવું હતું અને એમાં સમય જતાં કેવા-કેવા ચેન્જિસ થયા હશે એ વિશે મહત્વની જાણકારી મળી શકે.ઍન્ટાર્કટિકા પર રહેવું એટલે જીવનું જોખમ નોતરવું. સરળ રીતે સમજીએ તો અહીં શિયાળામાં લગભગ માઇનસ ૩૦થી માઇનસ ૮૦ ડિગ્રી સેલ્સિયસ અને ઉનાળામાં લગભગ શૂન્યથી ૨૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર રહે છે. ભૂતકાળમાં એક તબક્કે તો અહીંના જિયોમૅગ્નેટિક પોલ પર માઇનસ ૮૯.૨ ડિગ્રી જેટલું કલ્પનાતીત તાપમાન નોંધાયું હતું. વળી અહીં ક્યારેક તો પ્રતિ કલાકના ૨૫૦ કિલોમીટરની પ્રચંડ ઝડપે પવન ફૂંકાય છે, તો બરફનું જીવલેણ તોફાન પણ થાય છે. આવી અતિ જોખમી પરિસ્થિતિમાં લોહી સુધ્ધાં થિજાવી દે એવી ઠંડી, જીવતાં દટાઈ જવાય એવું બરફનું તોફાન અને અતિ તોફાની પવન સામે સંપૂર્ણ રક્ષણ આપે એવા સ્પેશ્યલ પ્રકારના સૂટ, બૂટ, હાથ-પગનાં મોજાં અને સૂર્યનાં ખતરનાક અલ્ટ્રાવાયલેટ કિરણોથી રક્ષણ મેળવવા ખાસ પ્રકારનાં ગૉગલ્સ વગેરેનો ઉપયોગ કરવો ફરજિયાત ગણાય.જોકે આપણા મૈત્રી સ્ટેશનમાં હીટરની સુવિધા હોવાથી એમાં ૨૦થી ૨૨ ડિગ્રી સેલ્સિયસ જેટલું સામાન્ય ટેમ્પરેચર રહેતું હોવાથી ભારતીય ટીમ સરળતાથી કામગીરી કરી શકે છે. જોકે વિજ્ઞાનીઓ કે અન્ય કર્મચારીઓ તેમની કામગીરી માટે બહાર નીકળે ત્યારે બે-ત્રણ કે ચારના જૂથમાં જ જાય. વળી સ્ટેશન સાથેના સતત સંદેશવ્યવહાર માટે સાથે વૉકી-ટૉકી અથવા રેડિયો ફરજિયાત રાખવો પડે.અહીં ન માની શકાય એવી નૈસર્ગિક ઘટના એ બને છે કે વિન્ટરમાં સતત ત્રણ મહિના સુધી સૂર્યનાં દર્શન નથી થતાં. એટલે કે લગભગ રાત્રિ જેવું વાતાવરણ રહે. જ્યારે સમરમાં સતત ત્રણ મહિના સુધી આકાશમાં સૂરજદાદા ઝળહળતા રહે. જરા કલ્પના કરો કે આવી જબરી વિરોધાભાસી પરિસ્થિતિમાં ભલા કોઈ કઈ રીતે રહી શકે.ઍન્ટાર્કટિકા પર થઈ રહેલા હવામાનના સંશોધનાત્મક અભ્યાસના આધારે સમગ્ર દુનિયાના અને ખાસ કરીને ભારતના ઋતુચક્રમાં થઈ રહેલા ફેરફારનો અંદાજ આવી શકે છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને ભારતના હવામાનશાસ્ત્રીઓ ઍન્ટાર્કટિકા પરના હવામાનમાં થતા પરિવર્તનની મહત્વની વિગતો ભારતીય હવામાન ખાતાને આપે છે. છેવટે ભારતીય હવામાન ખાતું એ માહિતીના આધારે વર્ષા ઋતુ વિશે આગાહી કરી શકે છે.આપણી પૃથ્વીમાં નૈસર્ગિક ચુંબકત્વ છે. આ ચુંબક્ત્વમાં ફેરફાર થતા રહે છે અને એ વિશે ઍન્ટાર્કટિકા પર સતત સંશોધન પણ થઈ રહ્યું છે. આ પ્રકારના સંશોધનના આધારે પૃથ્વીના પેટાળમાં, પૃથ્વીના નજીકના વાતાવરણમાં અને અંતરિક્ષના ઊંડાણના હિસ્સામાં કેવા-કેવા ફેરફાર થઈ રહ્યા છે એનો અંદાજ આવી શકે છે.

Related posts

ડૉ. બાબાસાહેબ આંબેડકર : રાષ્ટ્ર વિનાશની ખાઈ તરફ

aapnugujarat

પદ્માવતી : વિરોધ અને સમર્થન

aapnugujarat

વાત વાતમાં રડવા લાગતા લોકોનું વજન જલ્દી ઉતરશે

editor

Leave a Comment

UA-96247877-1