પાકિસ્તાન અધિકૃત કશ્મીરમાં સૌથી વધુ સર્ક્યુલેશન ધરાવતા ઉર્દૂ અખબાર ડેઈલી મુજાદાલા ઉપર પાકિસ્તાન સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે.
પાકિસ્તાન અધિકૃત કશ્મીરના શહેર રાવલકોટથી પ્રકાશિત થતા આ અખબારે પીઓકેના લોકોમાં સર્વે કરાવ્યો હતો. જેમાં પુછવામાં આવ્યું હતું કે, પાકિસ્તાન સાથે જોડાઈ રહેવા અંગે ત્યાંના લોકોનો શું વિચાર છે.આ સર્વેમાં આશરે ૭૩ ટકા લોકોએ પાકિસ્તાનમાં રહેવાના વિરુદ્ધમાં પોતાનો મત આપ્યો હતો.
આ સર્વે બાદ પાકિસ્તાન સરકારમાં હડકંપ મચી ગયો અને પાકિસ્તાન સરકારે ઉર્દૂ અખબાર ઉપર પ્રતિબંધ લગાવી દીધો. આ ઘટના બાદ પાકિસ્તાની ન્યૂઝ ચેનલે ઉર્દૂ અખબાર ડેઈલી મુજાદાલાના એડિટર હારિસ ક્વાદર સાથે વાતચીત પણ કરી હતી.
જ્યારે તેમને પુછવામાં આવ્યું કે, લોકોનું પાકિસ્તાનથી આઝાદી અંગે શું માનવું છે. ત્યારે હારિસ ક્વાદરનો જવાબ હતો કે, અમે લોકોને બે સવાલ પુછ્યા હતા. પહેલો એ કે શું લોકો ૧૯૪૮ના કશ્મીરના સ્ટેટસને બદલવા ઈચ્છે છે? જેના ઉપર મોટાભાગના લોકોએ પોતાની સહમતી વ્યક્ત કરી.
બીજી તરફ ૭૩ ટકા લોકોએ પાકિસ્તાનથી આઝાદીના પક્ષમાં પોતાનો અવાજ ઉઠાવ્યો હતો.
વધુમાં હારિસે કહ્યું કે, આ સર્વે પ્રકાશિત કરાયા બાદ શરુઆતમાં તો પાકિસ્તાન સરકારે તેને નોટિસ મોકલી ડરાવવા પ્રયાસ કર્યો અને તેની ઓફિસ પણ સીલ કરવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે, આ સર્વે આશરે ૧૦ હજાર લોકોમાં કરવામાં આવ્યો હતો, જેમાં ૫ વર્ષ જેટલો સમય લાગ્યો છે. જેમાં ૭૩ ટકા કશ્મીરીઓએ પાકિસ્તાનથી અલગ થવાનું સમર્થન કર્યું છે.
જોકે પીઓકેમાં પાકિસ્તાનથી આઝાદ થવાની ઉઠેલી માગ એ કોઈ પ્રથમ ઘટના નથી. આ પહેલા સિંધપ્રાંત અને બલુચિસ્તાનમાં પણ પાકિસ્તાન વિરુદ્ધ આઝાદીની ચળવળ ચાલી રહી છે. અને પાકિસ્તાન સરકાર પોતાની દમનકારી નીતિઓથી ત્યાંની જનતાનો અવાજ દબાવતી રહી છે.