મ્યાંમારના રખાઈન પ્રાંતમાં ચાલી રહેલી હિંસાના પગલે ત્યાંથી પલાયન કરી રહેલા રોહિંગ્યા મુસલમાનોને શરણાર્થીના રુપમાં બાંગ્લાદેશના એક નિર્જન ટાપુ પર વસવાટ કરવાની ફરજ પડી શકે છે. એક એવો ટાપુ જ્યાં દર વર્ષે પૂર આવે છે. અને જાનમાલનું નુકસાન થાય છે.બાંગ્લાદેશની સરકાર રોહિંગ્યા નેતાઓ અને સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓના આગ્રહને કારણે માનવ વસ્તી નહીં ધરાવતા થેનગાર છાર ટાપુ ઉપર રોહિંગ્યા મુસલમાનોને વસાવવા વિચાર કરી રહ્યાં છે.
બાંગ્લાદેશ સરકારે રોહિંગ્યા મુસલમાનોને આ ટાપુ સુધી પહોંચાડવા આંતરરાષ્ટ્રીય મદદની અપીલ કરી છે. કારણકે એક તો બાંગ્લાદેશ પહેલેથી જ ગરીબીનો સામનો કરી રહ્યું છે. જેમાં હવે મ્યાંમારમાંથી આવેલા નિરાશ્રિત રોહિંગ્યા મુસલમાનોને વસાવવા માટે બાંગ્લાદેશી સરકાર અને અધિકારીઓને ઘણી મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે.આપને જણાવી દઈએ કે, મ્યાંમારના રખાઈન પ્રાંતમાં ગત ૨૫ ઓગસ્ટથી શરુ થયેલી હિંસા બાદથી આશરે ૩ લાખથી પણ વધુ રોહિંગ્યા મુસલમાન બાંગ્લાદેશમાં શરણાર્થી તરીકે આવ્યા છે. આ ઉપરાંત ૩ લાખ જેટલા શરણાર્થી પહેલેથી જ બાંગ્લાદેશ-મ્યાંમાર સીમા પાસે સંયુક્ત રાષ્ટ્રના રાહત શિવિરોમાં વસવાટ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં બાંગ્લાદેશમાં આવી રહેલા શરણાર્થીઓને કારણે હવે બાંગ્લાદેશના અધિકારીઓને રાહત શિવિર લગાવવા માટે જમીન પણ ઓછી પડી રહી છે.