ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ કેન્દ્રીય નેતાઓના પ્રવાસ પણ વધી ગયા છે, ત્યારે વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. પ્રધાનમંત્રી મોદી ૧૯ ઓક્ટોબરના રોજ રાજકોટના પ્રવાસે આવશે. તેઓ રાજકોટને ત્રણ ઓવરબ્રિજની ભેટ આપશે. ૧૯ ઓક્ટોબરે રાજકોટમાં વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાશે. રાજકોટ એરપોર્ટથી રેસકોર્ષ સુધી પ્રધાનમંત્રી મોદીનો રોડ શો યોજાશે. સાથે રાજકોટવાસીઓને વિકાસની ભેટ પણ આપશે. રાજકોટમાં વડાપ્રધાન વિશાળ જનસભાને સંબોધશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૯મી ઓક્ટોબરના રોજ જૂનાગઢ અને રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે જૂનાગઢમાં સભા સંબોધિત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ શહેરની મુલાકાતે આવશે. રાજકોટ શહેરની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે તેઓ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે મોટી જનસભા પણ સંબોધવાના છે. અંદાજિત દોઢ લાખ લોકો બેસી શકે તે માટે જુદા જુદા પાંચ જેટલા જર્મન ટેકનોલોજીના ઉપયોગથી ડોમ પણ બનાવવામાં આવ્યા છે. ત્યારે આજ રોજ સંગઠન મહામંત્રી વિનોદ ચાવડા, રાજ્ય સરકારના મંત્રી અરવિંદ રૈયાણી, સાંસદ રામભાઈ મોકરીયા, સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવે તેમજ કલેકટર અરુણ મહેશ બાબુ સહિતનાઓએ સભા સ્થળની મુલાકાત લીધી હતી.
મીડિયા સાથેની વાતચીતમાં અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતું કે, જૂનાગઢથી સભા પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંદાજિત ૫ વાગ્યા આસપાસ રાજકોટ આવી પહોંચશે. રાજકોટ એરપોર્ટ ખાતેથી રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટર સુધી અંદાજિત સવા કિલોમીટરનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો રહેશે. જ્યારે મનિષ સિસોદિયાએ કરેલા ટિ્વટ અંગે પ્રશ્ન પૂછતા અરવિંદ રૈયાણીએ નિવેદન આપવાનું ટાળ્યું હતું.
ઉપરાંત સૌરાષ્ટ્ર પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાએ વડાપ્રધાનના પ્રવાસ અંગે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના કાર્યક્રમથી સૌરાષ્ટ્ર-કચ્છને ફાયદો પહોંચશે. હાલ ભરોસાની ભાજપ સરકાર જે સૂત્ર આપવામાં આવ્યું છે તે લોકોએ જ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા તાજેતરમાં જ ભાજપ દ્વારા જે ભરોસાની ભાજપ સરકાર સૂત્રો આપવામાં આવ્યું છે તેને લઈને કહ્યું હતું કે, ભરોસાની ભેંસે પાડો જણ્યો.
આગળની પોસ્ટ