સરકારી લોકાર્પણોના સમારોહ પાછળ લાખો રૂ.નો ખર્ચ કરતા રાજકીય નેતાઓને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા હોવા છતાં જીવન જરૂીયાતની ચીજવસ્તુઓમાં જે ભાવ વધારો લાગુ થયો છે તે જોવાનો સમય નથી. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન મગ, અડદ, તલ, તુવેર દાળ, સહિત દૂધ-દહિં, શાકભાજી, રાંધણગેસ સહિતની ચીજોનાં ભાવ આસમાને પહોંચી જતાં સામાન્ય પરીવાર માટે જીવન દોહ્યલું બની રહ્યું છે.
છેલ્લા પાંચ વર્ષથી ખાદ્ય ચીજવસ્તુઓના ભાવો આસમાને પહોંચતા અને મોંઘવારીની સાપેક્ષમાં આવક વૃદ્ધિ ન થતાં સામાન્ય પરિવારોનું જીવન દોહ્યલું બની ગયું છે. પેટ્રોલ – ડિઝલ ઉપરાંત દુધ, દહિં જેવી રોજિંદી જરૂરીયાત ઉપરાંત રસોડામાં વપરાતા કઠોળ મગ, અડદ, તુવેર દાળ, તેલ-ઘીના ભાવો બજાર લેવલે તથા જી.એસ.ટી.ના મારથી મોંઘા થઈ ગયા છે. લોકોની જીવવા માટેની પાયાની જરૂરીયાતની તમામ ચીજવસ્તુ મોંઘવારીની લપેટમાં આવી ગઈ છે. સામી બાજુ લોકોના માથાદિઠ આવક વૃદ્ધિ કે પગારો વધ્યા નથી. આમ સામાન્ય જનતાને બન્ને બાજુ માર પડે છે.
આગલા પાંચ વર્ષના કઠોળના ભાવોમાં ડોકિયું કરીએ તો ૨૦૧૮માં મગનો ભાવ પ્રતિ કિલો રૂ.૫૫ થી ૬૦ હતો, જે હવે છેક ૧૦૦ થી ૧૨૦ સુધી અને એક નંબરનો ભાવ રૂ.૧૨૫ સુધી આંબી ગયો છે. ગરીબોની અડદ દાળનો ૨૦૧૮માં ભાવ રૂ.૬૫ થી ૭૫ હતો, તે હાલ રૂ.૧૨૦ થી ૧૨૫, તુવેર, તુવેર દાળનો ૨૦૧૮માં ભાવ રૂ.૭૫ થી ૯૦ હતો, તે હાલ ૧૨૦ સુધીનો છે. ઘઉં એક કિલોના ભાવ ૨૫ થી ૨૭ હતો, જે હાલ રૂ.૩૩ થી ૩૫નો બોલાય છે. વનસ્પતિ ઘીનો ભાવ (૧૫ કિલો ડબાના) ૨૦૮માં ૧૦૫૦ – ૧૨૭૦ હતો જે હવે રૂ.૧૫૨૦ – ૧૬૩૦એ પહોંચી ગયો છે. ૨૦૧૮માં ચણાદાળ ૫૫ થી ૬૫ના ભાવે હતી, તેના ભાવ સ્થિર છે. દુધનો એક લિટરનો ભાવ રૂ.૪૦ થી ૫૫ હતો, જે આજે ૬૦ થી ૬૨એ પહોંચી ગયો છે. ચાલુ વર્ષ ચૂંટણીનું વર્ષ છે, લોકોને મોંઘવારીમાંથી કોઈ રાહત મળી હતી. દિવાળીનાં તહેવારોમાં મોંઘવારીનો માર સામાન્ય પરિવારો માટે અસહ્ય બની રહ્યો છે.
આગળની પોસ્ટ