રાજસ્થાનના જયપુર જિલ્લાના શાહપુરામાં ભાબરું નજીક કાર અકસ્માત સર્જાતા ભાવનગરના ચાર પોલીસ જવાન શહીદ થયા હતા. જ્યારે સાથે રહેલા એક આરોપીનું પણ મોત નિપજ્યું હતું. ચારેય પોલીસ જવાનોનાં નશ્વરદેહને હવાઈ માર્ગે ભાવનગર એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. એરપોર્ટથી એસપી કચેરી પર નશ્વરદેહને લઈ જઈ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ .ભાવનગર એરપોર્ટ ખાતે આ ચારેય સ્વર્ગસ્થ પોલીસકર્મીઓના અંતિમ દર્શન માટે પૂર્વ મંત્રી સુશ્રી વિભાવરીબેન દવે, મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયા, શહેર ભાજપ પ્રમુખશ્રી રાજીવભાઈ પંડ્યા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.
ત્યારબાદ આ સ્વર્ગસ્થ પોલીસ કર્મચારીઓના નશ્વર દેહને શહેર નાનવાપરા ખાતે આવેલ એસ.પી. કચેરીએ લાવવામાં આવ્યાં હતાં. જ્યાં ગાર્ડ ઓફ ઓનર સાથે રાજ્ય પોલીસ વડાશ્રી આશિષ ભાટિયા, આઇ.જી.શ્રી અશોકકુમાર યાદવ, કલેકટરશ્રી યોગેશ નિરગુડે, જિલ્લા પોલીસ વડાશ્રી જયપાલસિંહ રાઠોડ સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ ઉપસ્થિત રહી આ પોલીસ કર્મીઓના નશ્વર દેહને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં. ગાર્ડ ઓફ ઓનર દ્વારા ત્યારે પોલીસ જવાનોને સલામી અપાઇ હતી.
જ્યારે રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા દ્વારા મૃતક પરિવારને રૂ.4 લાખની સહાયના ચેક અપાયાં હતા. આમ પોલીસ તંત્ર દ્વારા તત્કાલ સહાય ચુકવવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે ભાવનગરના ચાર પોલીસ જવાનો ને રાજસ્થાનના જયપુર પાસે અકસ્માત નડ્યો હતો અને ચારેય જવાનોના મોત નિપજ્યા હતા.