મહેન્દ્ર ટાંક, ગીર-સોમનાથ
સોમનાથ સાંનિઘ્યે દેવદિવાળી પર્વે યોજાતા પાંચ દિવસીય કાર્તિકી પૂર્ણિમાના મેળાનું ચાલુ વર્ષે કોરોનાની ગાઇડલાઇનને લઇ આયોજન રદ કરવાનો સોમનાથ ટ્રસ્ટએ નિર્ણય કર્યો છે. કાર્તિકી પૂર્ણિમાના દિવસે સોમનાથ મંદિરમાં નિત્યક્રમ મુજબ મઘ્યરાત્રીએ વિશેષ પૂજા-અર્ચના અને મહાઆરતી થશે
સોમનાથ સાંનિઘ્યે કાર્તિકી પૂર્ણિમાનું અનેરૂ મહાત્મય છે. છેલ્લા સાત દાયકાથી દર વર્ષે દેવદિવાળીના પર્વ (અગિયારસ) થી કાર્તિકી પૂર્ણીમા (પૂનમ)ના દિવસ સુઘી સોમનાથ સાંનિઘ્યે પાંચ દિવસીય લોકમેળાનું મંદિર ટ્રસ્ટ દ્રારા આયોજન કરાય છે. ગત વર્ષે કોરોના મહામારીને કારણે મેળાનું આયોજન રદ કરાયુ હતુ. બાદમાં હાલ દેવદિવાળી પર્વ નજીક આવી રહયુ હોવાથી ચાલુ વર્ષે પ્રખ્યાત કાર્તિકી પૂર્ણિમાના મેળાનું આયોજન થશે કે કેમ તે અંગે લોકો અને વેપારીઓ ઉત્સસુકતાથી જાણવા માંગતા હતા. દરમ્યાન આજે સોમનાથ ટ્રસ્ટએ ચાલુ વર્ષે સરકારની મેળા યોજવાની કોઇ ગાઇડલાઇન ન હોવાથી અને સોમનાથના મેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટતા હોવાથી લોકોની સુખાકારીને ઘ્યાને રાખી ચાલુ વર્ષે કાર્તિકી પૂર્ણીમાના મેળાનું આયોજન ન કરવાનો નિર્ણય સોમનાથ ટ્રસ્ટએ કરેલ હોવાનું જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવેલ છે. કાર્તિકી પૂર્ણિમાના દિવસે સોમનાથ મંદિરમાં મઘ્યરાત્રીએ થતી મહાઆરતી સહિતની પૂજાવિઘિ દર્શનના કાર્યક્રમો નિત્યક્રમ મુજબ થશે.અત્રે નોઘનીય છે કે, પ્રભાસક્ષેત્રમાં કાર્તિકી પૂર્ણિમાનુ વિશેષ માહાત્મ્ય રહેલું છે. કારણ કે, કાર્તિકી પૂર્ણિમાની મઘ્યારાત્રીએ ચંદ્ર ભગવાન શિવના મસ્તક પર ધારણ કરે છે. શિવ ચંદ્રશેખર અને સોમેશ્વર નામથી પૂજાયએ દિવસ પણ કાર્તિકી પૂર્ણિમાનો હોવાથી ઘાર્મીક દ્રષ્ટીએ તેનું મહાત્મય છે. દર વર્ષે કાર્તિકી પૂર્ણીમાની મઘ્યરાત્રી (રાત્રીના 12 વાગ્યે) સોમનાથ મંદિરના શિખર પર ચંદ્ર પોતે સ્થાન લે છે તેનો અલોકીક નજારો નિહાળવા મોટીસંખ્યામાં ભાવિકો સોમનાથ મંદિરએ આવે છે. આ દિવસે મઘ્યરાત્રીએ સોમનાથ મહાદેવને મહાઆરતી પણ કરવામાં આવે છે જેનો લ્હાવો લેવા દર વર્ષે અનેક ભકતો લેવા આવે છે.