કોંગ્રેસના પૂર્વ નેતા અને ગુજરાતના ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે દાવો કર્યો છે કે, ગુજરાતમાં ૧૫થી ૨૦ જેટલા ધારાસભ્યો ટૂંક સમયમાં જ કોંગ્રેસ છોડવાના છે. સાથે જ અલ્પેશે દાવો કર્યો કે, કોંગ્રેસમાં અત્યારે નેતૃત્વનો અભાવ છે અને જો તેમાં આવું જ ચાલતું રહ્યું તે હજુ આગામી ૧૦ વર્ષ સુધી તે સત્તામાં આવી શકશે નહીં. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, એ અમારો નિર્ણય હતો અને મારા અંતરાત્માનો અવાજ હતો કે હવે અમારે પાર્ટીમાં રહેવું જોઈએ નહીં. અમે લોકો માટે કામ કરવા માગીએ છીએ અને સરકારની મદદથી ગરીબોની મદદ કરવા માગીએ છીએ. થોભો અને રાહ જૂઓ, હજુ કોંગ્રેસના ૧૫થી વધુ ધારાસભ્યો પાર્ટી છોડવાના છે. તેઓ પાર્ટીમાં અત્યંત નિરાશા અનુભવી રહ્યા છે. પાર્ટીના અડધાથી વધુ ધારાસભ્યો હાલ મુંઝવણ અનુભવી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે વાત કરતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, ગુજરાતમાં બધા જ લોકો વડાપ્રધાન મોદીનું સન્માન કરે છે અને હું પોતે તેમના લાગણીશીલ સ્વભાવથી પ્રેરિત છું. અલ્પેશે રાહુલ ગાંધી અંગે જણાવ્યું કે, તેમની સાથે પણ મારા સારા સંબંધો છે, પરંતુ નેતૃત્વની વાત આવે ત્યારે તે વડાપ્રધાન મોદીની સામે ટકી શકે એમ નથી. આ માટે તેમને મારા પ્રમાણપત્રની જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે, અલ્પેશ ઠાકોર સોમવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રીને તેમની ઓફિસમાં મળ્યા હતા. ઠાકોરની સાથે કોંગ્રેસના બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ હતા. તેમની આ મુલાકાત પછી એવી અફવાઓએ જોર પકડ્યું હતું કે, અલ્પેશ ટૂંક સમયમાં જ ભાજપમાં જોડાવા જઈ રહ્યો છે.અલ્પેશ ઠાકોરે કોંગ્રેસની ટિકિટ પર રાધનપુર બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડી હતી અને વિજય મેળવ્યો હતો, પરંતુ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા તેણે પાર્ટી છોડી દીધી હતી. પાટણ સંસદીય બેઠક પરથી કોંગ્રેસે લોકસભાની ટિકિટ ન આપતાં તેણે પાર્ટી છોડી દેવાનો નિર્ણય લીધો હતો. કોંગ્રેસે અલ્પેશના બદલે ભૂતપૂર્વ સાંસદ જગદીશ ઠાકોરને ટિકિટ આપી હતી. જોકે, અલ્પેશે ભાર મુકીને જણાવ્યું કે, ભાજપમાં જોડાવાનું હાલ તેનું કોઈ આયોજન નથી. ભાજપના અનેક નેતાઓ તેના સંપર્કમાં છે. હું મારા મતવિસ્તાર માટે કામ કરવા માગું છું.