ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર
માહિતી બ્યૂરો, સુરેન્દ્રનગર દ્વારા મળતી માહિતી મુજબ
સુરેન્દ્રનગર શહેરમાં “માનસિક આરોગ્ય પખવાડિયા ઉજવણી” અને “વિશ્વ માનસિક આરોગ્ય દિવસ”ની ઉજવણીના ભાગરૂપે જિલ્લા એન.સી.ડી.સેલ-સુરેન્દ્રનગર અને આશિર્વાદ વિકલાંગ ટ્રસ્ટ-સાયલાના સંયુકત ઉપક્રમે વિવિધ પ્રકારની માનસિક બિમારીઓની સમાજના જુદા-જુદા સમુદાયોમાં જન-જાગૃતિ કેળવવા સાથે માનસિક બિમારીનો સ્વીકાર કરી સારવાર માટે આગળ આવી શકે તે માટે મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ-સુરેન્દ્રનગર ખાતે તાજેતરમાં ખાસ ચિત્ર-પ્રદર્શન યોજાયું હતું.
આ કાર્યક્રમમાં સરકારી જનરલ નર્સિંગ સ્કુલ, સુરેન્દ્રનગરના ૬૨ વિધાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારની માનસિક બિમારીઓને લગતા માનસિક રોગો વિશેની થીમ ઉપર ૨૦૦ પ્રકારની વિવિધ ચિત્ર-કૃતિઓ રજુ કરવામા આવી હતી. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર શહેરની જુદી-જુદી શાળાના આશરે ૩૫૦ થી વધુ વિધાર્થીઓ તેમજ ઓ.પી.ડી.ખાતે આવતા વિવિધ દર્દીઓ સાથેના સગા અને જાહેર જનતા દ્વારા સમગ્ર ચિત્ર-પ્રદર્શન નિહાળી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ ચિત્ર-પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવેલ ચિત્ર-કૃતિઓમાંથી પ્રથમ, બીજો અને ત્રીજો ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડો.એચ.એમ.વેસેટીયન, સાઇકિયાટ્રિસ્ટ ડો.હરીતાબેન દરજી અને ડો.રીમાબેન વસાણીના હસ્તે શિલ્ડ-ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. સમગ્ર ચિત્ર-પ્રદર્શન કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા એન.સી.ડી.સેલ-સુરેન્દ્રનગરના મયુરભાઈ સોલંકી, ધર્મેન્દ્રભાઈ સોલંકી, વિકાસભાઈ મેર તથા હોસ્પિટલ સ્ટાફ ગણ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
આ ઉપરાંત “માનસિક આરોગ્ય પખવાડિયા ઉજવણી” નિમિત્તે વિવિધ પ્રકારની માનસિક બિમારીઓ માટે ઉપાસના વિકલાંગ કેન્દ્ર- સુરેન્દ્રનગર ખાતે નિ:શુલ્ક માનસિક રોગ સંભાળ, નિદાન-સારવાર કેમ્પ પણ યોજાયો હતો. આ કેમ્પનો કુલ ૮૨ દર્દીઓએ લાભ લીધો હતો. આ તમામ દર્દીઓને મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના નિષ્ણાત મનોચિકિત્સક ડો.હરિતા દરજી, સાયકોલોજીસ્ટ, સોશ્યલ વર્કર, કાઉન્સીલર સ્ટાફ સહિતની મેડિકલ/પેરા મેડિકલ ટીમ દ્વારા તણાવ મુક્તિ, આપઘાત નિવારણ, સ્ટ્રેસ મેનેજમેન્ટ વગેરે માટે સવિશેષ કાઉન્સીલીંગ કરી સેવાઓ પૂરી પાડવા સાથે નિ:શુલ્ક દવા પણ વિતરણ કરવામાં આવી હતી.