વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૫ મી જન્મજયંતિએ ૩૧ ઓક્ટોબર ૨૦૨૦ ના રોજ ભારતની પ્રથમ સી પ્લેન સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું. કેવડિયામાં યોજાયેલા કાર્યક્રમમાં પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાબરમતી નદી સુધી ચાલતી આ સી-પ્લેન સેવાનો પ્રારંભ કર્યો હતો. ૦૧ નવેમ્બરથી સી પ્લેન સેવા ઔપચારિક રીતે શરૂ કરવામાં આવી હતી. જાે કે તેના થોડા સમય બાદ ટેકનિકલ ખરાબીના કારણે બંધ કરવાની ફરજ પડી હતી. તેમજ એપ્રિલ ૨૦૨૧માં કોરોનાની બીજી લહેરની વ્યાપક અસર બાદ સી- પ્લેન સેવા બંધ કરવામાં આવી છે. જે હજુ પણ બંધ છે. તેમજ હવે કોરોનાના કેસોમાં ઘટાડો થતાં સી -પ્લેન સેવા ફરી શરૂ કરવા અંગેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે.દેશમાં સૌ પ્રથમવાર અમદાવાદથી કેવડીયા કોલોની સુધી શરૂ કરાયેલી સી-પ્લેન સેવા માટે હવે નવું પ્લેન ખરીદવાની દરખાસ્ત ગુજરાત સરકારે સિવિલ એવીએશન મંત્રાલયને કરી છે. જેમાં કોરોનાની બીજી લહેર બાદ સતત બંધ રહેલી સી- પ્લેન સેવાને દિવાળી સુધી શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જાે કે આ દરમ્યાન હાલ કાર્યરત સી- પ્લેનના સ્થાને ૧૨૦ કરોડના ખર્ચે નવું સી- પ્લેન ખરીદવા માટે ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે. જેમાં મળતી વિગતો મુજબ રાજ્યની તત્કાલીન વિજય રૂપાણીની સરકારમાં સિવિલ એવિયેશન વિભાગ સંભાળતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કેન્દ્રના એવિયેશન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને ૦૧ સપ્ટેમ્બરના રોજ એક પત્ર લખીને ગુજરાતમાં સી-પ્લેન ખરીદવા ૧૨૦ કરોડ રૂપિયાની માગણી કરી હતી. પરંતુ સરકાર બદલાતા આ અંગે હવે નવા મંત્રીએ ફોલો અપ લેવું પડશે. તેમજ રાજ્યના સિવિલ એવિયેશન મંત્રી પૂર્ણેશ મોદીનું કહેવું છે કે તેઓ સી-પ્લેનની માગણી અંગે ઝડપથી રજૂઆત પણ કરશે. ૩૧મી ઓક્ટોબર ૨૦૨૦માં રિવરફ્રન્ટથી કેવડિયા સુધી આ સી-પ્લેનની સુવિધા શરૂ કરવામાં આવી હતી. આ સર્વિસમાં એકસાથે ૧૯ લોકો બેસી શકે છે. અત્યારસુધીમાં ૨૫૦૦ જેટલા લોકોએ એમાં મુસાફરી કરી છે. જાે કે હાલ પ્લેન રિપેરિગ માટે માલદીવ મોકલવામાં આવ્યું છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગયા વર્ષે એવું નક્કી કર્યું હતું કે ગુજરાતમાં સી-પ્લેન માટે સાબરમતી રિવરફ્ન્ટ, કેવડિયા, ધરોઇ ડેમ અને તાપીમાં વોટર એરોડ્રામ બનાવવામાં આવશે. સી-પ્લેન લેન્ડ થઇ શકે તે માટે પાણીમાં ૮૦૦ થી ૯૦૦ મીટર જેટલી જગ્યાની જરૂર પડે છે.