છેલ્લા ૧૫ દિવસથી વરસતા સતત વરસાદને કારણે ખેડૂતોને જે સારા પાકની આશા બંધાણી હતી તેની માથે પાણી ફરી વળ્યું છે. બે દિવસથી મુશળધાર વરસાદ વરસતા થોરાળા ગામ પાસેના ચેકડેમો તૂટી જતા વીરપુરના ખેડૂતોનો મગફળીના પાક જમીનમાંથી જ બહાર નીકળી ગયો છે અને તે ધોવાઈ પણ ગયો છે. હવે ખેડૂતોને પડ્યા પર પાટુ સહન કરવાનો વારો આવ્યો છે.
ચાલુ વર્ષે સારો પાક થશે તેવી આશાએ સૌરાષ્ટ્રભરના ખેડૂતોએ જુદા જુદા પાકોનું બહોળી માત્રામાં વાવેતર કરેલ અને શરૂઆતમાં પાકને જરૂર હોય તે મુજબનો જ વરસાદ થતાં ખેડૂત સમુદાય ખુશખુશાલ થઈ ગયો અને સોળ આની વર્ષ થવાની સંભાવના દેખાવા લાગી હતી પરંતુ છેલ્લા પંદરેક દિવસથી સતત વરસાદ અને તેમાંય છેલ્લા બે દિવસથી મુશળધાર વરસાદે સારા પાકનું ચિત્ર સાવ બદલી નાખ્યું છે.
જેતપુરના થોરાળા ગામ પાસે આવેલ તળાવના હેઠાણવાળા વિસ્તારમાં વીરપુરના ખેડૂતોની ખેતીની જમીનો આવેલ છે. ગતરોજ ભારે વરસાદને પગલે થોરાળા ડેમ વિસ્તારના ચેકડેમો તેમજ નાના તળાવો પણ ઘણા તૂટી જતા ખેતરોમાં પાણી ઘુસી ગયું હતું. પાણીમાં ખેતરોમાં ઉભા પાક સાથે ખેડૂતોની આશાનું પણ ધોવાણ થઈ ગયું હતું. સંપૂર્ણ પાક ધોવાણ થઈ જતા આ વિસ્તારના ખેડૂતોએ સરકાર પાસે બીજા પાકના વાવેતર માટે તાત્કાલિક ધોરણે સહાય કરે તેવી માંગ કરી હતી.
(તસવીર / વિડિયો / અહેવાલ :- જયેશ સરવૈયા, જેતપુર)