suresh trivedi, Bhavanagar
ભાવનગરના દંપતિ શ્રીમતી ડૉ.દીપલ જોષી અને જીગ્નેષ જોષીએ સરકારી અધિકારી હોવાં છતાં લોકોની સંવેદના સાથે જોડાઇ પોતાના સેવાભાવથી એક સાચો કર્મયોગી કેવો હોઇ શકે તેની એક આગવી મિશાલ પ્રસ્તુત કરી છે. ડૉ.દીપલ જોષી હાલમાં ઘોઘા તાલુકાના ભૂંભલી ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તો તેમના પતિ ભાવનગર ખાતે નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે સરિતા માપક પેટા વિભાગમાં ફરજ બજાવે છે.
ડૉ.દીપલે કોરોના કાળ દરમિયાન પોતે સગર્ભા હોવાં છતાં કોરોનાગ્રસ્ત લોકોની સતત સેવા કરી હજારો દર્દીઓની સેવા- સુશ્રુષા કરી હતી. તેમના ત્યાગ, બલિદાન અને સમર્પણભાવ માટે તેમને ભાવનગર કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હસ્તે સમ્માનિત કરવામાં આવ્યાં હતાં.
તેમણે લોકોને વધુને વધુ રસી લે તે માટે પ્રોત્સાહિત કર્યા હતાં. તેમજ કોરોના દરમ્યાન લોકોના ટેસ્ટ કરતાં રહી લોકોને કોરોના જેવા ભયંકર રોગચાળામાંથી ઉગરવામાં મદદ કરી હતી. તેમની આ કામગીરીને ધ્યાનમાં લઇને સમગ્ર ભાવનગર જિલ્લામાંથી આરોગ્ય ક્ષેત્રે રાજ્ય કક્ષાએ તેમની પસંદગી કરવામાં આવી હતી.
તેમની આરોગ્ય ક્ષેત્રની આ યશસ્વી કામગીરી માટે ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ‘મહિલા શક્તિ એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તેઓ ત્રણ દિવસ પહેલાં જ એક દીકરીની માતા બન્યાં હોઇ તેમનાં વતી તેમના પતિશ્રીએ આ સન્માન સ્વીકાર્યું હતું.
ગુજરાત રાજ્ય મહિલા આયોગના ચેરમેન શ્રીમતી લીલાબેન અંકોલિયા અને રાષ્ટ્રીય મહિલા આયોગના ચેરમેનશ્રી રેખા શર્માના હસ્તે તેમને ‘મહિલા શક્તિ એવોર્ડ’ થી નવાજવામાં આવ્યાં હતાં.